Gujarat News: ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ, જાણો કોને મળી શકે છે સ્થાન?
Gandhinagar: ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આજે (શુક્રવાર) સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે.

બદલાવ પાછળનું કારણ
ગુરુવારે (16 ઓક્ટોબર) ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા હતા. જોકે, આમાંથી 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. ભાજપ દ્વારા કરવામાં આવેલો આ મોટો ફેરબદલ મિશન 2027 માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવા પ્રાદેશિક અને જાતિગત સમીકરણોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે.
શપથ સમારોહની તૈયારીઓ
મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાની શક્યતા છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
વર્તમાન મંત્રીમંડળમાં કુલ 16 મંત્રીઓ હતા (આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓ). 182 સભ્યોની વિધાનસભામાં કુલ 27 મંત્રીઓની ક્ષમતા છે, અને ભાજપના વરિષ્ઠ નેતાઓના મતે, આ વિસ્તરણમાં દસ જેટલા નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે.
તંત્રમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, PM નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (અને હવે જગદીશ વિશ્વકર્મા), તથા CM ભૂપેન્દ્ર પટેલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોના આધારે મંત્રીમંડળના નામો પર અંતિમ મહોર મારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા પાર્ટીએ જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન?
આ ફેરબદલમાં પ્રાદેશિક અને જાતિગત સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર: 47માંથી 42 બેઠક જીતનાર ભાજપ સૌરાષ્ટ્રમાંથી 7-8 ધારાસભ્યોને મંત્રી બનાવી શકે છે, જેમાં ત્રણ લેઉવા પાટીદાર, એક કડવા પાટીદાર, બે કોળી સમાજના, એક આહિર સમાજના, SCના એક અને ક્ષત્રિય સમાજના એક ધારાસભ્યનો સમાવેશ થઈ શકે છે.
સંભવિત નામો: કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજા, ઉદય કાનગડ (આહિર), હીરા સોલંકી (પરસોત્તમ સોલંકીના સ્થાને), અર્જુન મોઢવાડિયા અને ડૉ. પ્રદ્યુમન વાજાનો સમાવેશ થઈ શકે છે. કુંવરજી બાવળિયાને યથાવત રખાય તેવી શક્યતા છે.
મધ્ય ગુજરાત: આ પ્રદેશમાંથી પાંચથી છ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેમાં રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર અને ચૈતન્યસિંહ ઝાલાનો સમાવેશ થઈ શકે છે.
નોંધનીય છે કે, આ પહેલા સપ્ટેમ્બર 2021માં પણ વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલાં આખી સરકાર બદલવામાં આવી હતી, જોકે આ વખતે મુખ્યમંત્રી પદ યથાવત રખાયું છે.












Click it and Unblock the Notifications
