મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પુરના કારણે અસરગ્રસ્ત જિલ્લાના પુન:વસન સહાય યોજના જાહેર કરી, જાણો કોને મળશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમને ઝડપથી પુર્વવત કરવા જાહેર કરવામાં આવેલી આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જિલ્લાના 31 ગામો તેમજ નર્મદા જિલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરવામાં આવેલી આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે.
એટલું જ નહીં માસિક રૂપિયા 5 લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંક અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરવામાં આવેલા આ રાહત સહાય યોજનાની જોગવાઇઓ આ મુજબ છે.

પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તારીખ 31 ઓક્ટોબર, 2023 સુધીમાં સંબંધિત મામલતદાર/ નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે.
જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.












Click it and Unblock the Notifications
