છાત્રવૃતિ બંધ કરી ભાજપ શિક્ષણનો અધિકાર છીનવી રહી છેઃ મનિષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ દેશમાં એસ.સી, એસ.ટી, ઓ.બી.સી. અને માઈનોરીટીના કરોડો ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકો અને ગુજરાતના ૫૦ લાખ બાળકો માટેની પ્રિમેટ્રીક છાત્રવૃત્તિ બંધ કરી શિક્ષણથી વંચિત રાખવાના ભાજપ સરકારના અવિચારી નિર્ણય ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં શરુ કરેલ ૧ થી ૮ ધોરણ સુધીના આઠ કરોડ જેટલા એસ.સી., સાડા ચાર કરોડ એસ.ટી. સહિત કરોડોની સંખ્યામાં ઓ.બી.સી, લઘુમતિ સમાજના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે છાત્રવૃત્તિ આપવામાં આવે છે.
ભાજપ સરકારે છાત્રવૃત્તિ બંધ કરવાનો અવિચારી નિર્ણય કરી ગરીબ – સામાન્ય, મધ્યમવર્ગના સમાજ માટે ઘાતક સાબિત થશે. દલિત-આદિવાસી-બક્ષીપંચ અને લઘુમતી બાળકોને મળવાપાત્ર શિષ્યવૃતિ બંધ કરવાનો ભાજપ સરકારનો નિર્ણય બતાવે છે કે ભાજપા દલિત-આદિવાસી-બક્ષીપંચ-લઘુમતી વિરોધી માનસિકતા ધરાવે છે. દલિત-આદિવાસી-બક્ષીપંચ લઘુમતીના બાળકો શિક્ષણથી વંચિત રહે તેવો એક વધુ નિર્ણય છે અને આ સમાજના લોકોને શિક્ષા ન મળે તેનું એક ષડયંત્ર છે. દેશમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., સબ પ્લાન બંધ કરવાની વાત હોય, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતિ સમાજને ફાળવવામાં આવેલા બજેટમાં ઘટાડો કરવાની વાત હોય અથવા તેમના શૈક્ષણિક - આર્થિક - સામાજીક ઉત્થાન માટેની યોજનાઓ બંધ કરવાની નિર્ણયો ભાજપ સરકાર લેતી આવી છે.
ધોરણ-૧ થી ૮ ના લાખો ગરીબ - વંચિત - શોષિત માટેની પ્રિમેટ્રીક સ્કોલરશીપ બંધ કરી ભાજપે પોતાની એસ.સી., એસ.ટી, ઓ.બી.સી., વિરોધી માનસિકતા છતી કરી છે. દેશમાં શિક્ષણ વિરોધી, એસ.સી., એસ.ટી, ઓ.બી.સી. વિરોધી આ ફરમાન - નિર્ણયને તાત્કાલીક અસરથી પાછો લેવાની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરી છે.