કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી, હવે જિજ્ઞેશ મેવાણી-કિરીટ પટેલ આમને-સામને
પાટણમાં આયોજિત વીર મેઘમાયા કાર્યક્રમમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પક્ષના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જાહેરમાં શાબ્દિક પ્રહારો થતા રાજકારણ ગરમાયું છે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કાર્યક્રમ દરમિયાન વિરોધી જૂથને ખુલ્લો પડકાર ફેંકી આક્રમક તેવર બતાવ્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વિના વિરોધીઓને મેદાનમાં આવવા માટે લલકાર્યા હતા.

મેવાણીએ હિતેન્દ્ર પીઠડીયાને પાટણમાં પ્રવેશતા અટકાવવાની ધમકી આપનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ધરતી પર મારવાની વાતો કરનારાઓ હવે ફાંકા મારવાનું બંધ કરે.
આ નિવેદન સામે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મૌન તોડીને મેવાણી પર આકરો પલટવાર કર્યો છે. તેમણે મેવાણીના નિવેદનને સામાજિક સૌહાર્દ બગાડવાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો હતો.
કિરીટ પટેલે કટાક્ષમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર મોટી ભીડ ભેગી કરવાના દાવાઓ વચ્ચે કાર્યક્રમમાં માત્ર જૂજ લોકો જ હાજર રહ્યા હતા. ભીડ ન થતાં મેવાણી હતાશ થઈ ગયા છે.
ધારાસભ્ય પટેલે વધુમાં ઉમેર્યું કે માસ લીડર ગણાતા નેતા લઘુતા ગ્રંથિથી પીડાય છે અને તેથી જ મીડિયામાં બફાટ કરી રહ્યા છે. આવી નિવેદનબાજી પક્ષની છબીને નુકસાન પહોંચાડી રહી છે.
વિવાદમાં કૂદતા પાટણ SC વિભાગના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મેવાણી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે બહારના નેતાઓ પાટણમાં આવીને સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવી રહ્યા છે.
સક્સેનાએ કિરીટ પટેલના સમર્થનમાં જણાવ્યું કે જો સ્થાનિક નેતાઓની અવગણના થશે તો અનુસૂચિત મોરચામાંથી મોટાપાયે રાજીનામા પડશે. પક્ષમાં હાલમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.












Click it and Unblock the Notifications
