Gujarat Election: ભાજપને નહીં મળે 150 સીટો, કારણ જાતિવાદનું ગણિત
ગુજરાતમાં ભાજપને 150 સીટો મળવી છે મુશ્કેલ. જાણો શું છે ગુજરાતની જાતિ આધારીત ગણિતની ગણતરી. વિગતવાર વાંચો આ અંગે અહીં.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી ભાજપ માટે લોકસભાની 2019ની ચૂંટણી કરતા પણ વધુ મહત્વની બનતી જાય છે. જે ગુજરાતમાં છેલ્લા 22 વર્ષની ભાજપ શાસન કરી રહી છે અને આ વખતે પણ 150 સીટોના લક્ષને પાર પાડવાની વાતો કરી રહી છે તેની પણ આજે જાતિવાદનું ગ્રહણ લાગી ચૂક્યું છે. જાતિવાદી ગણતરી કરીએ તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 સીટો મેળવવી ખૂબ જ મુશ્કેલી છે. ભાજપ 100નો આંકડો પણ પાર કરી જાય તો પણ તેને ખુશી માનવવી જોઇએ તેવી સ્થિતિ આવીને ઊભી રહી છે. ત્યારે જાતિવાદની આ ગણતરી કેવી રીતે ભાજપના સપનાઓને ચૂરચૂર કરી શકે છે તે સમજો અહીં...
જાતિવાદી ગણતરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા 1960થી ગુજરાતમાં જેટલી પણ ચૂંટણી થઇ તેમાં જાતિ-જ્ઞાતિ એક મહત્વનો પહેલું રહ્યો છે. પહેલા જ્યારે કોંગ્રેસ જીતતું હતુ ત્યારે તેને ગુજરાતના આદિવાસી-મુસ્લિમો અને ઠાકોરનો સાથ મળતો હતો. પછીથી જ્યારે ભાજપ જીતવા લાગ્યું ત્યારે પણ પાટીદાર જાતિનો બહુ મોટો રોલ તેમાં ભજવાતો રહ્યો. ત્યારે આજે પણ જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે પણ જાતિ અને જ્ઞાતિ આધારીત જ ફેરફારો આવનારા સમયમાં ગુજરાતમાં કોણ રાજ કરશે તે નક્કી કરશે
અલ્પેશ ઠાકોર
સોમવારે અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ ગયો. ગુજરાતમાં 54 જ્ઞાતિઓ છે જે ઓબીસીમાં આવે છે. ઉત્તર ગુજરાતમાં બનાસ, પાટણ, ગાંધીનગરની કેટલીક બેઠકો પર અલ્પેશ અને કોંગ્રેસના આ જોડાણથી સીધી અસર થશે. સાથે જ સૌરાષ્ટ્રના કોળી મતદારો જે ભાવનગર, અમરેલી, જામનગર અને ગિર સોમનાથમાં વસે છે તેમાં પણ ભાજપની વોટબેંક ભાંગશે તે વાત નક્કી છે.
હાર્દિક પટેલ
ગુજરાતમાં 16 ટકા પાટીદારો છે. હાર્દિક પટેલે ભલે કોંગ્રેસમાં જોડાવાની અને ચૂંટણી લડવાની વાતની ના પાડી હોય. પણ તે એ વાત સ્વીકારે છે કે આવનારા સમયમાં બધાએ ભાજપ વિરુદ્ધ એક થઇને લડવું પડશે. 1 નવેમ્બર બન્ને નેતાઓની મુલાકાત પછી જો હાર્દિક પણ આડકતરી રીતે કોંગ્રેસના સમર્થનમાં આવે. તો ભાજપની મોટી વોટબેંક ગણાતા પાટીદારોના અડધાથી વધુ વોટ કોંગ્રેસ તરફ ફંટાઇ જશે. અને કદાચ આ જ કારણ છે કે ભાજપે ચૂંટણી પહેલા રેશ્મા- વરુણને પોતાની સાઇડમાં લીધા છે.
જીજ્ઞેશ મેવાણી
ભલે જીજ્ઞેશ પણ હાર્દિકની જેમ કોઇ પક્ષમાં જોડાવાની વાત નકારતો હોય. પણ આ વખતે દલિતોના વોટ પણ ભાજપને મળવા મુશ્કેલ છે. ઉના કાંડ જેવા અનેક મુદ્દાઓ બાદ દલિતો પણ જો ભાજપ વિરોધી વોટ કરે તો 150 નો આંકડો આ ચૂંટણીમાં ભાજપ સર કરવાથી રહ્યું. આમ જોવા જઇએ તો ભાજપની પરંપરાગત વોટ બેંકમાં મોટું ભંગાણ પડી ચૂક્યું છે. ઓબીસી, દલિત અને પાટીદારો ભાજપની બીપી વધારવા સક્ષમ છે.