Gujarat Election: ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ હશે મુખ્યમંત્રી, AAPનો કોઈ પ્રભાવ નહિઃ અમિત શાહ
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે જો ભાજપ બહુમત મેળવશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે.
Gujarat Election: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે આવતા મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપ બહુમત મેળવશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2022માં વિજય રુપાણીની જગ્યાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ ઘાટલોડિયા બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત શાહે વધુમાં એમ પણ કહ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોઈ મોટો પ્રભાવ નહિ પાડી શકે.
ગુજરાત ચૂંટણીને લઈને ટીવી ચેનલ ન્યૂઝ 18 સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે ગુજરાત ભાજપ બહુમતમાં આવવા પર ભૂપેન્દ્ર પટેલ નિઃસંદેહ પોતાના પદ પર પાછા આવશે. તેમણે વધુમાં કહ્યુ કે ભાજપ પોતાના વોટ શેર અને સીટોની સંખ્યા બંનેને રેકૉર્ડ અંતરથી વધારશે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરીથી સત્તામાં આવશે. ગુજરાતમાં ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાવા અંગે તેમણે કહ્યુ કે દર વખતે 30 ટકા આસપાસ ચહેરા બદલાય છે. એક ચહેરો ક્યારેય હંમેશા નથી રહેતો. અમે રેકૉર્ડ તોડવાની રાજનીતિ નથઈ કરતા. અમે ગુજરાતની જનતાની આશાઓ પર હંમેશા ખરા ઉતર્યા છે. ગુજરાત ચૂંટણી અમે પ્રચંડ બહુમતથી જીતીશુ અને ભાજપની સરકાર બનશે.
અમિત શાહે આમ આદમી પાર્ટીના મોટા પ્રભાવની કોઈ પણ સંભાવનાને ફગાવતા કહ્યુ કે ગુજરાતના લોકોએ ક્યારેય કોઈ ત્રીજા પક્ષની અવધારણાનો સ્વીકાર નથી કર્યો. ગુજરાતીઓની આદત છે કે જેમની પાસે કહેવા માટે કંઈક હોય તે દરેકની વાત તે સાંભળે છે પરંતુ પરિણામ ખુદ જ બોલશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ સાર્વજનિક સર્વેક્ષણ કર્યા બાદ પાર્ટી નેતા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કર્યા છે. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા નહિ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 182 બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.