'કાળા દિવસ'ની રેલીમાં ભાગ લેવા સુરત આવશે રાહુલ ગાંધી
ગુજરાત ચૂંટણી 2017: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8 નવેમ્બરના રોજ આવશે સુરત
ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયા બાદ નેતાઓ પૂર જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, રાહુલ ગાંધી 11 નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાત પધારનાર છે. પરંતુ તાજેતરની જાણકારી અનુસાર, રાહુલ ગાંધી એ પહેલાં 8 નવેમ્બરના રોજ પણ ગુજરાતની મુલાકાત લેશે. 8 નવેમ્બર ને બુધવારે સવારે 10.30 કલાકે રાહુલ ગાંધી સુરત પહોંચશે. તેઓ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકતમાં રાહુલ ગાંધી વેપારીઓ સાથે જીએસટી અંગે વાત કરે એવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ કાળા દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ માર્ચમાં પણ ભાગ લેશે.

ગત મહિને જ કોંગ્રસ તથા અન્ય વિપક્ષો દ્વારા 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થાય છે. તો સામે ભાજપ દ્વારા આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મંગળવારના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અહીં તેમણે જીએસટી અને નોટબંધીના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યાર બાદ વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. એ પછી હવે રાહુલ ગાંધી પણ સુરતના વેપારીઓ સાથે વાત કરવા સુરત આવનાર છે. સુરતના વેપારીઓએ જીએસટી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આથી આગામી ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધીની સુરત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ કહેવાઇ રહી છે.












Click it and Unblock the Notifications
