4 કરોડ કુટુંબોને મફતમાં વિજળીનું કનેક્શન આપવામાં આવશે : PM મોદી
આદિવાસી વિસ્તાર નેત્રંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આ પ્રહાર. જાણો તેમના ભાષણના મહત્વના મુદ્દા અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી પ્રચાર માટે આજે નેત્રંગ પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી હાલ અહીં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ 50 વર્ષ રાજ કર્યું પણ આદિવાસી મંત્રાલય ન બનાવ્યું, આદિવાસીઓ માટે અલગ બજેટ ન બનાવ્યું, આદિવાસી મંત્રી અલગ હોય એની વ્યવસ્થા ન કરી પણ આઝાદીના છ દાયકા પછી જ્યારે અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર બની ત્યારે પહેલી વાર આદિવાસીઓનું અલગ મંત્રાલય બન્યું, અલગ બજેટ બન્યું. સાથે જ તેમણે કહ્યું કે અમારી સરકારે સંકલ્પ કર્યો છે કે, 4 કરોડ કુટુંબોને મફતમાં વિજળીનું કનેક્શન આપવામાં આવશે.નોંધનીય છે કે આ પ્રસંગે તેમણે આદિવાસીઓ અને આઝાદી વખતે તેમણે બતાવેલ દેશપ્રેમને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારે માટે ગરીબોનો પસીનો એજ અમારા દેશની અમીરી અને એ અમીરી માટે અમે અમારી જાત ખપાવવા નીકળ્યા છીએ.
અમે નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનના દરેક રાજ્યમાં જ્યાં જ્યાં આદિવાસીઓએ આઝાદીની લડાઈ લડી છે એ બધા જ વીર આદિવાસીઓનું એક ભવ્ય મ્યુઝિયમ દરેક રાજ્યમાં બનાવવામાં આવશે, ગુજરાતમાં પણ બનાવવામાં આવશે. આ દેશના આદિવાસીઓએ 1857ના આઝાદીના આંદોલનમાં એટલી બધી લડત આપી છે કે અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. સાથે જ આ પ્રસંગે કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો એમ જ માને છે કે, દેશના આઝાદીના આંદોલનમાં એક જ કુટુંબે આઝાદી અપાવી, તેમણે સરદાર પટેલને ભૂલાવી દીધા અને એમનું ચાલ્યું હોત તો ગાંધીજીને પણ ભૂલાવી દેત. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ છે.
વધુમાં શિક્ષણ અંગે બોલતા પીએમ જણાવ્યું કે આજે ગુજરાતમાં દિકરીઓના શિક્ષણ અને એમાં પણ ખાસ કરીને આદિવાસી દીકરીઓના શિક્ષણમાં સુધારો થયો છે. અમારી સરકાર ગરીબોના કલ્યાણને વરેલી સરકાર છે. સાથે જ તેમણે આ પ્રસંગે ભાજપને આ વખતે જીત અપાવવા માટે પણ અપીલ કરી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રણ સભાઓ કરીને લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરી હતી.