ગુજરાત ફ્લેશબેક 2020: જાણો, ગુજરાતમાં વર્ષ 2020માં બનેલી મોટી ઘટનાઓ વિશે
ગુજરાત માટે 2020નુ વર્ષ કેવુ રહ્યુ તે માટે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ.
વર્ષ 2020ને અલવિદા કહેવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે નવા વર્ષ 2021માં પ્રવેશ પણ કરીશુ. 2020નુ વર્ષ ક્યારે પતે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા હોય તેવુ પણ ઘણુ સાંભળવા મળ્યુ કારણકે આ વર્ષે ઘણી મુશ્કેલીઓ અને તારાજી સર્જાઈ. ગુજરાત માટે 2020નુ વર્ષ કેવુ રહ્યુ તે માટે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ.

સ્કૂલોમાં ફી ઘટાડાનો મુદ્દો
સ્કૂલોમાં ફી ઘટાડાનો મુદ્દો આ વખતે વધુ વકર્યો હતો. તેમાં કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાથી વાલીઓએ ફી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. ફીના વિવાદનો મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો જે બાદ રાજ્ય સરકારે 25 ટકા ફી ઘટાડાની જાહેરાત કરી હતી. જે શાળાઓએ અગાઉથી ફી લઈ લીધી હોય તે 25 ટકા માફીના આધારે સરભર કરી આપશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાઓ ઈત્તર પ્રવૃત્તિના નામે કોઈ પણ ફી ઉઘરાવી શકે નહિ. મહત્વનુ છે કે વાલીઓએ 50 ટકા ફીમાં રાહત મળે તેવી માંગ કરી રહ્યા હતા. અને આ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વાલી મંડળ દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા હતા.

કોરોનામાં મદદ માટે આગળ આવી સેવાભાવી સંસ્થાઓ
ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ પણ કુદરતી આફતો આવી ત્યારે ત્યારે વિવિધ સામાજિક સેવા સંસ્થાઓથી લઈને દરેક વ્યક્તિ પોતાની રીતે સેવા કાર્યોમાં જોડાઈને ગુજરાતને ફરીથી બેઠુ કરવામાં લાગી જાય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે લૉકડાઉનના સમયગાળામાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પણ અમદાવાદ સહિત મહાનગરોમાં ગરીબો અને જરૂરિયાતમંદોને રાહત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ રાશન કિટ, ફૂડ પેકેટ અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોરોનાના લૉકડાઉન દરમિયાન સુરત અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ સેવાભાવી સંસ્થાઓથી લઈને સ્થાનિક ધારાસભ્યોએ પણ પોતાનુ યોગદાન આપીને જાહેરમાં રસોડા ચલાવ્યા હતા.

નામાંકિત હસ્તીઓના નિધન
વર્ષ 2020 ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારત માટે ખરાબ રહ્યુ. ગુજરાતમાં ઘણી એવી નામાંકિત વ્યક્તિઓએ વિદાય લીધી જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યુ હતુ. આ હસ્તીઓમાં જાણીત ફિલ્મ સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનુ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયુ હતુ. તેમના નિધનના બે દિવસ પહેલા જ તેમના મોટાભાઈ અને જાણીતા ગાયક મહેશ કનોડિયાનુ લાંબી બિમારી બાદ નિધન થયુ હતુ. આ બંને ભાઈઓની બેલડીના નિધનથી ગુજરાતના કલાજગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીનુ પણ દુલાઈ માસમાં નિધન થયુ હતુ. તેમને 26 જાન્યુઆરીએ પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ગુજરાતના સાહિત્ય અને પત્રકાર જગતને ન પૂરાય એવી ખોટ પડી છે.

વિવિધ લોકાર્પણોની ભેટ
ગુજરાતમાં વર્ષ 2020માં વિવિધ લોકાર્પણોની ભેટ આપવામાં આવી. તેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 17 જેટલા આકર્ષણોને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જેના લીધે સ્ટેચ્યુ ઑફ યુનિટી આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગિરનાર ખાતેનો રોપ-વે પણ આ વખતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે કેવડિયાથી અમદાવાદ સુધીની સી-પ્લેનની સુવિધા પણ ખુલ્લી મૂકવામાં આવી. આ ઉપરાંત આયુર્વેદના કાશી ગણાતા જામનગરની આયુર્વેદિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. પીએમ મોદીએ આયુર્વેદમાં નવા રચાયેલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદનુ વીડિયો કૉન્ફરન્સ મારફતે લોકાર્પણ કર્યુ હતુ.

CAA અને NRC કાયદાનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ CAA અને NRC કાયદાનો દેશભરમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. સીએએ અને એનઆરસીના કાયદાઓનો ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. અમદાવાદ, ભરૂચ અને વડોદરા સહિતના ભાગોમાં સીએએ અને એનઆરસીના કાયદાનો મુસ્લિમ સમાજના લોકોએ જોરશોરથી વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલિસ સાથે પ્રદર્શનકારીઓના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ આ કાયદાનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
