વન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશે
વન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશે
ગાંધીનગરઃ પરિવારથી દૂર રહી રાત દિવસ જીવ દયા અને જંગલ સંપત્તિની રખેવાળી કરતા વન રક્ષકો ગ્રેડ પે, બઢતી, ઉચ્ચ પગાર વેગેર મુદ્દે અન્યાય થતો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી વન રક્ષકો દ્વારા ગ્રેડ પે વધારવાની રજૂઆતો કરવામાં આવી રહી છે, વારંવાર ઉઠી રહેલી આ માંગણીઓ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. હવે વનરક્ષક કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામે એક પત્ર લખી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વન રક્ષક કર્મચારી મંડળે આ પત્રમાં લખ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના મળતાં તમને રજૂઆત કરવા મજબૂર થયા છીએ, જો વન રક્ષકોના હિતમાં નિર્ણય નહિ લેવાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન રૂપી કાર્યક્રમો કરવા પડશે.
જણાવી દઈએ કે આપણા દેશની વન્ય સંપત્તિને સાચવવાનું કામ કરતા આ વન રક્ષકો જો રજા પર ઉતરી જાય તો માત્ર સરકાર પર જ નહિ, જંગલમાં રહેતા પશુ પ્રાણીઓ અને જંગલ પર પણ મોટી આફત આવી જાય. રાતોરાત જંગલો સાફ થવા લાગે તેવામાં વન રક્ષકો રજા પર ઉતરી જાય તે ચિંતાજનક બાબત કહેવાય.
વનરક્ષકોને થઈ રહ્યો છે અન્યાય
વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 ગ્રેડ પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે. સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે હોય વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે. આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરી આપવાની અરજ કરી છે.
આ ઉપરાંત વન રક્ષકો દિવસ રાત ચોવિસ કલાક ડ્યૂટી પર હોય છે, વાર તહેવારની રજા હોતી નથી કે વેકેશન આપવામાં આવતું નથી ત્યારે વન રક્ષકોએ પણ પોલીસ ખાતાની જેમ રજાના દિવસે નોકરી કરાવવામાં આવે છે તે સમયગાળાનો રજા પગાર આપવા અંગેની જોગવાઈ કરવા વિનંતી કરી.
ઉપરાંત વન રક્ષકોએ બઢતીના રેસિયામાં 1:3 મુજબ સુધારો કરવા બાબતે, વન વિભાગમાં 2 કે 3 વર્ષે નિયમિત ડ્રેસ આર્ટિકલ આરલા બાબતે. સમયસર ખાતાકીય પરીક્ષા યોજવા તેમજ સમયસર સિનિયોરિટી લિસ્ટ બહાર પાડવા બાબતે, દર વર્ષે બઢતી આપવા બાબત સહિતની માંગણી કરી છે. આ ઉપરાંત અરજીમાં મહિલા કર્મચારીઓને પણ ન્યાય આપવાની માંગ કરી છે. જંગલ વિસ્તારોમાં મહિલા કર્મચારીઓને નાઈટ પેટ્રોલિંગમાંતી મુક્તિ આપવા તથા મહિલાઓ રહી શકે કે ઉપયોગમાં લઈ શકે તે આધિન ક્વાર્ટ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે.
વારંવાર થઈ રહેલી માંગણીઓ છતાં સરકાર તરફથી હજી સુધી કોઈ હકારાત્મક પગલાં ભરવામાં નથી આવ્યાં. અઢળક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ના લેવાયા બાદ વન રક્ષક કર્મચારી મંગળે મુખ્યમંત્રીને અરજી પત્ર મોકલી તેમના મુદ્દાઓથી અવગત કરાવ્યા.