ગુજરાત મોડેલઃ પીએમ પકોડા વેચતાં શિખવે, રૂપાણી સરકાર કરાવે ટાયર પંક્ચર !
દેશમાં ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા થાય છે. ગુજરાત મોડલને આગળ કરીને રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે પણ પહોચ્યા છે.
દેશમાં ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા થાય છે. ગુજરાત મોડલને આગળ કરીને રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે પણ પહોચ્યા છે. ત્યારે, આ એજ ગુજરાત મોડેલ છે. જે ગુજરાતનું શિક્ષણની દ્રષ્ટિએ કંગાળ પ્રદર્શન અન્ય રાજ્યોની સરખામણીમાં છે. ત્યારે, ગુણોત્સવ, પ્રવેશોત્સવ અને વાંચે ગુજરાત જેવા કાર્યક્રમ કર્યા બાદ હવે રાજ્ય સરકારે બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંક્ચર કરવાની કળા શિખવાડવાનો પરિપત્ર બહાર પાડ્યો છે.
વિદ્યાર્થીઓને કૌશલ્ય શિખવવા બાળમેળા
ગુજરાત સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવના આયોજનથી બિલકુલ વિપરીત હવે કૌશલ્ય ખીલવવા માટે બાળ મેળા યોજવામાં આવશે. જેમાં પ્રવેશોત્સવની સાથે ધોરણ ૧થી ૫માં ભણતા પ્રાથમિક વિભાગના બાળકો માટે યોજાનારા બાળ મેળામાં માટી-છાપ કામ શીખવાડવામાં આવશે. તો ઉચ્ચ પ્રાથમિક એટલે કે, ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા બાળકો માટે જીવન કૌશલ્ય મેળા યોજી ટાયર પંક્ચર સહિતની પ્રવૃતિઓ શીખવાડવામાં આવશે. આગામી ૧૧ જુનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશોત્સવની સાથે જ બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંક્ચર બનાવતા શીખવાડાશે. આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી પ્રાથમિક શાળાઓમાં બે ભાગમાં બાળ મેળા યોજવા જણાવ્યું છે.
ટાયર પંક્ચર કરતાં શિખશે વિદ્યાર્થીઓ
આ મેળામાં જે પ્રકારની પ્રવૃતિઓ યોજાવાની છે તેની યાદી પણ આપવામાં આવી છે. તે પ્રમાણે જીવન કૌશલ્ય મેળામાં વિદ્યાર્થીઓએ ફ્યૂઝ બાંધવો, સ્ક્રુ લગાવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું સહિતની પ્રવૃતિઓ કરવાની રહેશે. જ્યારે ધોરણ ૧ થી ૫માં માટીકામ, છાપકામ, કાતર કામ, ચિત્ર કામ, ગાડી કામ, પપેટ શો, કાગળ કામ, રંગ-પુરણી, બાળવાર્તા, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, હાસ્ય દરબાર, ગીત-સંગીત અભિનય, જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે. જોકે સરકારના આ નિર્ણય બાદથી સોશ્યલ મીડિયામાં ટાયર પંક્ચર બનાવવાની વાતને લઈને ભારે ખીલ્લી ઉડાવાઈ રહી છે.
વિપક્ષ કૉંગ્રેસે પણ માર્યા ચાબખા
કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે વિદ્યાર્થીઓને ટાયર પંક્ચર શિખવવાની પ્રવૃતિ અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જે સરકાર શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિ કરાવતી હોય તે રાજ્યના વિધ્યાર્થીઓ એ ટાયરના પંકચર જ બનાવવા પડે એવુ ખુદ ભાજપે સ્વીકારી લીધું હોય તેમ આ ફતવો બહાર પડાયો છે. સરકારી તાયફાઓમાં ભીડ ભેગી કરવા મજબૂર શિક્ષકો બિચારા બાળકોને સરકારના કાર્યક્રમોમાં ઘેટાં બકરા ચરાવતા હોય તેમ જોતરે. વાંચે ગુજરાત, રમશે ગુજરાત,ગરીબ રથ કે શિક્ષણ રથ ગુજરાતને જ્યારે જ્યારે સરકાર એના સ્વપ્રચારને હીલોળે ચઢાવે ત્યારે ત્યારે આ શિક્ષકો અને બાળકો હડફેટે ચઢે.
સરકારના તુઘલકી ફરમાનોની ઝાટકણી
ભુવા ભારાડીઓ ની ચિંતા કરતી ઘુણતી સરકાર સમાજ અને દેશની સાંસ્કૃતિક અને સમ્રુધ્ધિના પાયામાં રહેલા શિક્ષણ સાથે જે રીતે મજાક કરી રહી છે તે વખોડવા લાયક જ નહીં તિરસ્કાર ને લાયક છે. પંકચર ભાજપ સરકારમાં બેઠેલા મંત્રીઓ ના મગજના કરવાની જરૂર છે જો એ નહીં થાય તો ગુજરાતનું ભાવિ પંકચર થઈ જશે તે નિશ્ચિત છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તુઘલકી ફરમાનોની વિપક્ષે પણ ઝાટકણી કાઢી હતી. ત્યારે, ખરેખર કેવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સરકાર બનાવવા માંગે છે તે સવાલ ઉભો થાય છે.