ગુજરાત સરકારે વણઝારાના રાજીનામાનો અસ્વીકાર કર્યો
અમદાવાદ, 4 સપ્ટેમ્બર : આજે મહત્વના ઘટનાક્રમમાં ગુજરાત સરકારે સસ્પેન્ડેડ ડીઆઈજી ડી જી વણઝારાનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની કેબિનેટે જણાવ્યું છે કે વણઝારા હાલ એન્કાઉન્ટર કેસમાં આરોપી છે, આથી જ્યાં સુધી તેમની સામેનો કેસ ઉકેલાય નહીં ત્યાં સુધી તેમનું રાજીનામું સ્વીકારી શકાય એમ નથી.
ઉલ્લેખનીય છે કે વણઝારા એ ઇશરત જહાંના નકલી એન્કાઉન્ટર કેસમાં અન્ય સાત પોલીસ અધિકારીઓ સાથેના મુખ્ય આરોપી છે. ગત બે વર્ષથી તેઓ જેલમાં છે. મંગળવારે તેમણે દસ પાનાના એક સ્ફોટક પત્રમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ મોદી અને પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહને એન્કાઉન્ટર માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે રાજ્યના ગૃહ સચિવને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
આ રાજીનામામાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા લખ્યું હતું કે મોદી અને અમિત શાહની આતંકવાદ વિરોધી નીતિના આધાર પર જ આ એન્કાઉન્ટર કરાયા હતા. છતાં મોદી સરકાર હવે અધિકારીઓ સામે આંખ આડાકાન કરી રહી છે. વધુમાં તેમણે લખ્યું છે કે મુખ્ય પ્રધાનને માત્ર અમિત શાહને બચાવવામાં રસ છે, પરંતુ એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા અધિકારીઓને બહાર ન આવે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.
આ તરફ વણઝારાના આ પત્ર બાદ પણ રાજ્ય સરકાર મૌન સેવ્યું છે. વણઝારાના પત્ર અંગે મુખ્યપ્રધાન કે પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહે હજું સુધી હરફ ઉચ્ચાર્યો નથી. ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસના આરોપી અને ગુજરાતના સસ્પેન્સન હેઠળના ડીઆઈજી, ડી.જી. વણઝારાએ પોલીસ દળમાંથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વણઝારના રાજીનામા બાદ અન્ય સસ્પેન્ડેડ અધિકારીઓ પણ પોતાનું મોઢે ખોલે તેવી સંભાવના છે.













Click it and Unblock the Notifications
