સ્માર્ટ સીટીના શહેરોને મળી ઇ-મેમોથી મુક્તી, સરકારે કરી જાહેરાત
સ્માર્ટ સિટીના.પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ ઇ મેમો ચલણ મોકલવામાં આવશે. રાજ્ય સરકારની જનહિત લક્ષી મહત્વની જાહેરાત. વધુ વાંચો અહીં.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમભંગના ઇ-ચલન મારફતે આપવામાં આવતા ઇ- મેમોમાંથી મુક્તિ આપવાની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. વધુમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના મહાનગરોનો સુગ્રથિત વિકાસ થાયતે માટે રાજ્ય સરકારે સી.એસ.આઇ.ટી.એમ.એસ., સ્માર્ટ સીટી અને પીપીપી ધોરણે સીસીટીવીના પ્રોજેક્ટો અમલમાં મુક્યા છે. તાજેતરમાં આ શૃંખલામાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પણ આગામી ૪ માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ મહાનગરો/ શહેરોમાં સર્વેલન્સ, સ્વચ્છતા, અને ટ્રાફિક નિયમન ઝડપથી થાય તે માટે અદ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા આધુનિક વિજાણુ સાધનો દ્વારા જનસુખાકારી અને જન સલામતિમાં વધારો થાય તેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે.
સી.સી.ટી.વી.ના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટીક/મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે. પરંતુ આ કેટલીક ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. એવી રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાને લઇ જ્યાં સુધી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ દ્વારા ઇ-ચલન નાગરિકોને મોકલવાના રહેશે નહીં જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દૂર થશે.