રાજ્ય સરકાર ૩.રપ કરોડ લોકોને મફત રાશન પુરુ પાડશેઃ સચીવ અશ્વિનીકુમાર
રાજ્ય સરકાર ૩.રપ કરોડ લોકોને મફત રાશન પુરુ પાડશેઃ સચીવ અશ્વિનીકુમાર
રાજ્યમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનની સ્થિતિ છે ત્યારે, સામાન્ય અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે અને ભુખ્યા રહેવાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો અમલ 1લી એપ્રીલથી રાજ્યમાં કરવામાં આવશે. જેમાં રાજ્યના અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ફક્ત એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
અનાજ વિતરણ દરમિયાન પણ જાળવવું પડશે સોશિએલ ડિસ્ટન્સ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ નાગરિકોની સલામતિ માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. અનાજ વિતરણ સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ ન થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ૪ લોકોની અને શહેરી ક્ષેત્રોમાં ૩ લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. નાગરિકોને સસ્તા અનાજના પદ્ધતિસરના વિતરણ માટે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનાવાશે. જ્યારે, શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે. સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ-રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને જ અનાજ લેવા માટે બોલાવવામાં આવે તેવો આગ્રહ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાવવાના હેતુથી મુખ્યમંત્રીએ આ વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરવા સુચના આપી છે.
રાજ્યમાં ગરીબો-નિરાશ્રિતો માટે શેડ બનાવવા 40 કરોડની ફાળવણી
મુખ્યમંત્રીના સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે, ૪ એપ્રિલથી ગરીબ પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યકિત-પરિવારોની યાદી સંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે. લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને ઘરમાં રહેલા અનાજને દળાવવાની, લોટની સગવડ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અનાજ દળવાની ઘંટી-ફલોર મિલ્સ ચાલુ રાખવા પણ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોમાં વસવાટ કરતાં શ્રમજીવીઓ માટે આશ્રય અને ભોજન વ્યવસ્થા માટે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી 40 કરોડની ફાળવણી કરી છે. શેડ બનાવવા માટે અમદાવાદમાં ૩ કરોડ, સુરત. ર.પ૦ કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને ર-ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી ફૂડ પેકેટ્સનું કરાયું છે વિતરણ
લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને ખાવા-પીવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી વિનામૂલ્યે ભોજન-ફૂડપેકેટસનું વિતરણ શરૂ કર્યુ છે. આવાં કુલ ૧ર.પ૯ લાખ ફૂડપેકેટસ હાલ સુધીમાં વિતરણ થઇ ચુક્યુ છે.
ખાખી વર્દીની આડમાં ગેરવર્તણૂંક નહી ચલાવી લેવાની પોલીસ વડાની ચીમકી