રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણીપંચને વિનંતિ કરશે રાજ્ય સરકાર
રાજ્યમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાતા હવે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવે એવી શક્યતા છે.
ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. આ મહામારી ફેલાવાનું મૂળ એકબીજાનો સંપર્ક છે. ત્યારે, આ ભયાનક વાયરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર પુરજોશમાં પગલાં લઇ રહ્યુ છે. ત્યારે, ગુજરાતમાં 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતિ કરાશે. રાજ્યમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાતા હવે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવે એવી શક્યતા છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચ નિર્ણય કરશે. અમે ચૂંટણી પંચને રાજ્યસભા ચૂંટણી મોકૂફ રાખવા વિનંતિ કરીશું. વિધાનસભા સત્ર મોકૂફ રાખવા અંગે કાલે ચર્ચા કરીને નિર્ણય કરીશું. આ પરિસ્થિતિને જોતાં આવતીકાલથી વિધાનસભાનું સત્ર સ્થગિત કરવા પણ નિર્ણય લેવાઇ શકે છે.

રાજ્યસભા ચૂંટણી મોકૂફ રાખવા કરાશે રજૂઆત
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. જ્યારે 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે. પરંતું, જો ચૂંટણી પંચ ચૂંટણી સ્થગિત કરે તો, મતદાનની તારીખ પાછી ઠેલાઇ શકે છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ 18 થયા
ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટીવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઇ રહી છ. રાજ્યમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. આ નામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં આવેલા લોકોને જાણ થશે. જેથી તેઓ સામેથી સરકારી હોસ્પિટલમાં આવે અને ટેસ્ટ કરાવે. આ પ્રકારના લોકોને તાત્કાલિક સારવાર મળે અને બીજાને ચેપ ન લાગે અને વ્યાપ અટકાવવા માટે નિર્ણય લેવાશે. સામાન્ય રીતે દર્દીની ઓળખ ગુપ્ત રાખવામાં આવતી હોય છે. પરંતું, જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ દર્દીઓના નામ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
