દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપુર્ણ યોગદાન છે: નરેન્દ્ર મોદી

ગાંધીનગર, 20 એપ્રિલ: સૌરાષ્ટ્રના અમરેલીમાં એલ એમ કકાડિયા એમસીએ મહિલા કોલેજનું ઉદઘાટન કરતાં શુક્રવારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગત 12 વર્ષોમાં ભારતનો જે વિકાસ થયો છે તેમાં ગુજરાતનું મહત્વપુર્ણ યોગદાન છે. મુખ્‍યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસદરના લક્ષ્‍યને પાર પાડવા માટે દેશની ૫૦ ટકા જનસંખ્‍યા એવી નારીશકિતને વિકાસમાં જોડવા માટેની યોજના તૈયાર કરવાનું મહત્‍વનું સૂચન કર્યુ હતું. ભારતના અર્થતંત્રમાં દેશની ૫૦ ટકા મહિલાશકિતનું આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી અને નેત્તૃત્‍વ પ્રેરિત કરવા માટેની યોજના હવે રાજય સરકારોએ તૈયાર કરવાનો સમય પાકી ગયો છે, એમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાતે મહિલાઓના આર્થિક સશકિતકરણમાં આ અભિગમ અપનાવ્‍યો છે.

રામનવમીના પર્વે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમરેલીમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્‍સવ પ્રસંગે એલ.એમ.કાકડિયા એમ.સી.એ. મહિલા કોલેજનું લોકાર્પણ કર્યું હતું. આમંત્રિતો અને લેઉવા પટેલ સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સમાજના પરિવારો ઉત્‍સાહ-ઉમંગથી આ પ્રસંગે ઉપસ્‍થિત રહયા હતા.

narendra-modi-amareli

મુખ્‍યમંત્રીએ રામનવમીની શુભેચ્‍છા આપતા, મહાત્‍મા ગાંધીએ રામરાજ્યનો સંકલ્‍પ કરેલો તે સપનાને સાકાર કરવા પ્રત્‍યેક નાગરિક પોતાનું યોગદાન આપે અને સ્‍વામી વિવેકાનંદના ૧૫૦ માં જન્‍મજયંતિ વર્ષમાં ભારતમાતાની આરાધના કરી, મા ભારતી જગતગુરૂના સ્‍થાને બીરાજમાન થાય તેવું વિવેકાનંદનું સ્‍વપ્‍ન સાકાર કરવા યુવાનો પ્રતિબધ્‍ધ બને તેવું આહવાન કર્યું હતું.

દુનિયામાં આઝાદી પછી દેશ દુર્દશાની ગર્તામાં ડુબી જશે એવી કોઇએ કલ્‍પના નહોતી કરી પણ કમનસીબે સ્‍વતંત્ર ભારતના શાસકોએ શિક્ષણ અને સંસ્‍કારના જીવન ઘડતરની ઉપેક્ષા જ કરી હતી. આ સંદર્ભમાં અમરેલીમાં આટલા ભવ્‍ય કન્‍યા કેળવણીના આધુનિક સંકુલનું સંચાલન કરવા બદલ વસંતભાઇ ગજેરા અને તેમના સહયોગીઓને ખુબ અભિનંદન આપ્‍યા હતા.

શિક્ષણ અને સંસ્‍કારથી જ આવતીકાલની પેઢી દુરાચારથી મુકત રહી સદાચારના સમાજ નિર્માણ માટેની ચિંતા કરનારા આપણા જ સમાજમાં છે, એમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાતમાં શિક્ષણ ગુણવત્તાસભર બનાવવા રાજય સરકારે પ્રાથમિક શાળાના ‘ગ્રેડેશન'ની પહેલ કરી છે, તેમ તેમણે જણાવ્‍યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્‍યું કે સમગ્ર દેશનાં રાજકીય પંડિતો અને અર્થશાસ્‍ત્રીઓને ગમે કે ન ગમે, સ્‍વીકાર કરવો જ પડે છે કે ગુજરાતે છેલ્‍લા ૧૨ વર્ષમાં જે વિકાસની દિશા અને રાજનીતિએ સિધ્‍ધી મેળવી છે તે હિન્‍દુસ્‍તાનને શકિતશાળી અને અર્થતંત્રને મજબૂત બનાવવામાં નિર્ણાયક યોગદાન છે.

ભારતના વિકાસદરના લક્ષ્‍યને પામવા માટેનું પ્રેરક સૂચન કરતા મુખ્‍યમંત્રીએ દેશના સમાજની ૫૦ ટકા મહિલાશકિતને વિકાસમાં જોડવાની જરૂર ઉપર ભાર મુકયો હતો.

ગુજરાતમાં મહિલાશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવા તેની નિર્ણયમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા અને આર્થિક પ્રવૃત્તિમાં અગ્રેસર બનાવવા માટેના અનેક કાર્યક્રમોની ભુમિકા નરેન્દ્ર મોદીએ આપી હતી. તેમણે ગુજરાતમાં વિશાળ સાગર કાંઠે વસતા સમાજોની બહેનોને આર્થિક પ્રવૃત્તિમાં શકિતશાળી બનાવવા માટે ‘મિશન મંગલમ્' પ્રોજેકટ અંતર્ગત સખી મંડળની બહેનોને દરિયાઇ સેવાળ (Sea Weed) ની ખેતીના પાયલોટ પ્રોજેકટની સફળતાનો નિર્દેશ કર્યો હતો. જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે સી-વિડના પાયલોટ પ્રોજેકટમાં સાગરખેડુ પરિવારોની બહેનોને જોડી છે તેવું તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં શિક્ષણને સમગ્રતયા ગુણવત્તાસભર બનાવવા અને પાયાના પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટીના ઉચ્‍ચ શિક્ષણમાં ગુણાત્‍મક પરિર્વતન લાવવાની પહેલ પણ આ સરકારે કરી છે, તેની રૂપરેખા આપી મુખ્‍યમંત્રીએ દશ વર્ષમાં ગુજરાતની યુનિર્વસિટીઓની સંખ્‍યા ૧૧ માંથી ૪૪ થઇ છે, તેમાં પણ ફોરેન્‍સીક સાયન્‍સ, રક્ષાશકિત યુનિર્વસિટી અને સ્‍કીલ યુનિર્વસિટી જેવી નવી પહેલ કરી છે, તેમ જણાવ્‍યું હતું.

શિક્ષણ બાબતમાં ગુજરાતનો કોઇ તાલુકો એવો નથી જેમાં સમાજના સંપન્‍ન વર્ગો-જ્ઞાતિઓ પોતાની શકિતથી આધુનિક શૈક્ષણિક વિકાસમાં અગ્રીમ યોગદાન ન આપી રહયા હોય. તે માટે અભિનંદન આપતા મુખ્‍યમંત્રીએ શિક્ષણમાં સમાજશકિત અને સરકારની શકિત એક જ સંકલ્‍પથી આગળ વધી રહયા છે તેમ જણાવ્‍યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુએ જણાવ્‍યું કે, સમાજની ભવિષ્‍યની પેઢીના ઘડતરનું ઉત્તમ કામ આ સંકુલમાં થઇ રહ્યું છે. ૧પ વર્ષ પૂર્વે નાના ભૂલકાઓનું ભવિષ્‍ય શૈક્ષણિક રીતે સુદ્રઢ બને અને તે કેવળ સમાજ જ નહી, પણ દેશ-વિશ્વનું કલ્‍યાણ કરે એવા પાયા અહીં નંખાયા છે. સારસ્‍વત ભૂમિ અને તેની સંસ્‍કારિતા અહીં ચાલી આવી છે, પરંતુ ગુલામીકાળ દરમિયાન આપણો ઇતિહાસ અને સાંસ્‍કૃતિક વારસો જે ભૂલાઇ ગયો હતો તે હવે પુનઃસ્‍થાપિત થઇ રહ્યો છે.

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ કહ્યું કે, મુખ્‍યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્‍યા કેળવણી માટે મહા અભિયાન ઉપાડયું છે અને ગુજરાતનું ઘડતર કેવું થવું જોઇએ તે બાબતે તેમણે સતત ચિંતન કર્યું છે, તે માટે મુખ્‍યમંત્રી આપણા સૌના અભિનંદનને પાત્ર છે.આ શૈક્ષણિક સંકુલની પ્રવૃત્તિઓનો તેમણે વિગતે ચિતાર રજુ કર્યો હતો.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નરહરી અમીને જણાવ્‍યું હતું કે અમરેલી જેવા નાના શહેરમાં આવું વિશાળ સંકુલ બન્‍યું એટલે સમગ્ર વિસ્‍તારની કન્‍યાઓના શિક્ષણ માટે ઉમદા કામગીરી થઇ શકી છે. ગુજરાતમાં છેલ્‍લા દાયકામાં શિક્ષણની ભૂખ ઉભી થઇ છે ત્‍યારે, મહિલાઓને ઉચ્‍ચ શિક્ષણ મળતા આવનારી પેઢી વધુ શિક્ષિત બનશે. સમાજમાં શિક્ષણની અહાલેક જગાવવા સમાજના મોભીઓને તેમણે અપીલ કરી હતી.

પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાએ જણાવ્‍યું હતું કે, અમરેલીમાં બહેનોને સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આ સંકુલ સુંદર કામગીરી કરે છે અને સમાજને નવો રાહ ચિંધે છે. સૌરાષ્‍ટ્રમાં સ્‍ત્રી સશક્તિકરણની દિશામાં આ સંકુલનું મહત્‍વનું યોગદાન છે.

આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી ગોવિંદભાઇ પટેલ, રાજયસભાના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા, લોકસભાના સાંસદ નારણભાઇ કાછડિયા, પૂર્વકૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્‍ય વી.વી.વઘાસીયા, ધારાસભ્‍ય સર્વ વલ્‍લભભાઇ કાકડીયા, કિશોરભાઇ કાનાણી, જનકભાઇ બગદાણાવાળા, પ્રફૂલભાઇ પાનસેરીયા તેમજ અમરેલી જિલ્‍લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ માયાણી તથા જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. કાનાબાર સહિત વિદ્યાર્થીઓ તથા વાલીગણ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા.

કન્‍યા કેળવણી નિધિમાં રૂ. ર૧ લાખનો ચેક અર્પણ કરતા શ્રી ચુનીભાઇ ગજેરા આજના પાવન પ્રસંગે મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધિમાં ગજેરા સંકુલ અમરેલીના મેનેજીંગ ડિરેકટર-વ- લક્ષ્‍મી એક્ષપોર્ટના શ્રી ચુનીભાઇ ગજેરા તથા સુનિતાબેન ગજેરાએ મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને રૂ. ર૧ લાખનો ચેક કન્‍યા કેળવણી નિધિ માટે અર્પણ કર્યો હતો. મુખ્‍યમંત્રીએ પણ શ્રી ચુનીભાઇનું શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X