ગુજરાતના પશુપાલકો દૈનિક એક કરોડ લીટરથી વધુ દૂધ ભરાવે છે: રમણલાલ વોરા
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: વિશ્વ કૃષિ સંમેલન-૨૦૧૩ના બીજા દિવસે યોજાયેલા ખેતી પશુપાલન અને દૂધ ઉદ્યોગ ક્ષેત્ર (ડેરી સેકટર) વિષયક સત્રનો શુભારંભ કરાવતા યુવક સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, ગુજરાત પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ કુશળતા અને અનુભવોનું દેશના અન્ય રાજ્યો સાથે આદાન પ્રદાન થકી દેશની શ્વેતક્રાંતિમાં હકારાત્મક પ્રદાન કરવા તત્પર છે.
આ સત્રમાં ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, પરબતભાઇ પટેલ અને લીલાધરભાઇ વાઘેલા ઉપરાંત પશુપાલન અને ડેરીઇંગના તજજ્ઞો અને જિજ્ઞાસુ પશુપાલકોએ ભાગ લીધો હતો. સત્રની ચર્ચા દરમિયાન દેશના કુલ પશુધનમાં સારી ઓલાદના દૂધાળા પશુઓની સંખ્યામાં વધારો કરવાની અનિવાર્યતા સહિત ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા હતા. મંત્રી રમણલાલ વોરાએ કૃષિ, પશુપાલન અને દૂધ ઉદ્યોગ ક્ષેત્ર વિષયક ખાસ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૨ લાખથી વધુ પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે અને રાજ્યની સહકારી મંડળીઓ દૈનિક એક કરોડ લીટરથી વધુ દૂધ એકત્ર કરે છે. પશુપાલન પૂરક રોજગારી અને આવકનું ચાવીરૂપ માધ્યમ છે અને સારી ઓલાદનું પશુપાલન વધુ લાભ આપે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતમાં અન્ય કોઇ રાજ્યમાં આટલો મોટો કૃષિ અને પશુપાલન મેળો યોજાયો નથી એવો ઉલ્લેખ કરતા મંત્રી વોરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદર્શી નેતૃત્વ હેઠળ ગુજરાત છેલ્લા ૧૨ વર્ષોમાં સંકલિત પશુપાલન અને ડેરી વિકાસ માટે કૃષિ મહોત્સવ, રાજ્યવ્યાપી પશુમેળાઓ, પશુ નેત્રરોગ, દંતરોગ, અસ્થિ રોગ નિદાન અને સારવાર, ગોવંશ અને પશુપાલનના સંશોધન માટે કામધેનું યુનિવર્સિટીની સ્થાપના, એનીમલ હોસ્ટેલ્સની સ્થાપના જેવી ઉલ્લેખનીય પહેલો કરી છે અને રાજ્યના પ્રત્યેક જિલ્લા અને તાલુકામાં એનીમલ હોસ્ટેલની સ્થાપના અને ગોબર બેંકને માધ્યમ બનાવીને ઊર્જા ઉત્પાદન અને જાહેર સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પરિસંવાદ દરમિયાન એનડીડીબીના એક્ઝીક્યુટીવ ડાયરેકટર સંગ્રામ ચૌધરીએ મહાયજ્ઞ સમાન વિશાળ કૃષિ સંમેલન યોજવા માટે રાજ્ય સરકારને અભિનંદન આપવાની સાથે પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અને પશુઓલાદની સુધારણા દ્વારા આંતરરાષ્ટ્રીયસ્તરે સ્વીકૃત ગુણવત્તાવાળુ દૂધ ઉત્પાદન વધારવાની ભલામણ કરી હતી.
એનડીઆરઆઇના નિયામક ડૉ. એ.કે. શ્રીવાસ્તવે ક્રોસ બ્રિડીંગનો ફક્ત ઓછુ દૂધ ઉત્પાદન આપતા અને વસુકી ગયેલા પશુઓ માટે જ ઉપયોગ કરવાની ભલામણ કરતા ચેતવણી આપી હતી કે દેશની ઉત્તમ ઓલાદો સાથે ક્રોસ બ્રિડીંગથી દેશે ઘણી સારી ઓલાદો ગુમાવી છે અને કેટલાંક પશુ રોગોને નોતર્યા છે. અમૂલના મેનેજીંગ ડાયરેકટર આર.એસ.શોઢીએ જણાવ્યું હતું કે હાલનો સમય એ દેશના દૂધ ઉત્પાદનનો સ્વર્ણિમ યુગ છે. દૂધના પ્રોત્સાહક ભાવો મળવાથી નવી પેઢી પશુપાલન સાથે જોડાઇ રહી છે. દેશમાં દૂધની માંગ અને વપરાશ, ઉત્પાદનની સાથે વધી રહયાં છે. જે દૂધ ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. બાયફના ડૉ.એન.જી.હેગડે, સહિત તજજ્ઞોએ પશુપાલન સામેના પડકરો, તકો અને વિકાસના ઉપાયોની જાણકારી આપી હતી.












Click it and Unblock the Notifications
