PMJAY યોજના હેઠળ સારવાર આપતું શ્રેષ્ઠ મોડલ છે ગુજરાત
PMJAY scheme: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.
આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીઓ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66460 દર્દીઓને રૂપિયા 146 કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMJAY યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને PMJAY યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે, તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો, ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ PMJAY યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
