Excl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત !
અમદાનાદ, 24 ડિસેમ્બર : દેશમાં સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવે, તો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને વગર વાતે જ ચૂંટણીના મેદાને લાવી મૂકવામાં આવે છે. ગુલામ ભારતનના જનનાયક મોહનદાસ કરમચંદ ગાંધી સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ કહેવાયાં. જોકે આઝાદીના આટલા વર્ષે હવે ખબર પડી કે ભારતે બંધારણીય રીતે તેમને એવો કોઈ દરજ્જો જ નથી આપ્યો. સ્વતંત્રતા અગાઉથી ગાંધીજીએ મહાત્માનું બિરૂદ મેળવી લીધું. સ્વતંત્રતા પછી નથી કોઈ પદ ચાહ્યું કે નથી પોતાના પરિવાર માટે એવો કોઈ રાજકીય વારસો છોડ્યો કે જેથી પેઢીઓની પેઢીઓ બેસીને ખાઈ શકે. આટલી નિષ્કામ અને નિઃસ્વાર્થ સેવા છતાં આખરે દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે, તો ગાંધીને તેમાં કેમ ઢસડી લવાય છે?
ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં પણ ગાંધી ચર્ચામાં રહ્યાં. હોય પણ કેમ નહીં? આખરે ગાંધી ગુજરાતના જ તો હતાં, પરંતુ શું ગુજરાત ગાંધીનું હજુય છે ખરૂં? ખેર, આ પ્રશ્નના અનેક ઉત્તરો હોઈ શકે છે. ગાંધી વિચારસરણીને સમર્પિત ગુજરાત ક્યારેય ગાંધીથી દૂર ન હોઈ શકે, પરંતુ ગાંધીનો વારસો બળજબરીપૂર્વક ઉપાડનારાઓએ ગુજરાત સાથે ગાંધીનો અંતર સતત વધારવાનું કામ કર્યું અને તેનું કારણ પણ કદાચ સ્પષ્ટ છે કે દેશમાં કેટલાંક રાજકીય પક્ષો અને નેતાઓ માટે ગાંધી કોઈ વ્યક્તિત્વ નહીં, પણ વ્યક્તિગત કે પક્ષગત ઓળખનો ભાગ બની રહી ગયાં છે અને આ જ કારણ છે કે યદાકદા-અકારણે જ રાજકીય લાભ ખાંટવા કે સત્તાલોભ પૂર્ણ કરવા ગાંધીને ચૂંટણીના મેદાને ઉતારી દેવાય છે.
હવે વાત ગુજરાતની કરીએ, કારણ કે ચૂંટણી તાજેતરમાં અહીં જ સમ્પન્ન થઈ છે. ગાંધીનું જન્મ સ્થળ પોરબંદર છે. એવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ગાંધીને ખેંચી લાવવાનો પ્રયત્ન થવો સ્વાભાવિક જ હતો. એમ તો ગાંધીના વારસાનો દાવો કરનારાઓના ભરોસે જ ગુજરાત ચૂંટણીનું વહાણ સોંપનાર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પોતાની ઝુંબેશની શરુઆત જ ગાંધી સે કરતાં હોય છે. જોકે તે ગાંધી મહાત્મા ગાંધી નહીં, પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે. આ ગાંધીઓ આવતાં જ મહાત્મા ગાંધી ચૂંટણીના મેદાને ઉતારી દેવાય છે. બંને નેતાઓએ ગુજરાતમાં આવી ચૂંટણી સભાઓ કરી અને પોકારી-પોકારીને ગુજરાતને ગાંધીનું ગુજરાત બતાવ્યું. જાણે ગુજરાત આ વાત ભૂલી ગયું હોય. રાહુલ ગાંધી તો રીતસર ગાંધી કથા લઈ ગુજરાત આવ્યાં, પરંતુ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ છે કે ગુજરાતને રાહુલના ગાંધી ગમ્યા નહીં.
જોકે રાહુલ જે ગાંધીની વાત કરતા હતાં, તે ગાંધી તો આજેય પ્રાસંગિક છે અને સદીઓ સુધી રહેશે, પરંતુ રાહુલની ગાંધી કથા ગુજરાતીઓના ગળે ઉતરી નહીં અને જ્યારે મોદીએ ગાંધી કથામાં જવાહલાલ નેહરૂના પિતા મોતીલાલ નહેરૂના આચરણના પાત્રની ઠેકડી ઉડાડી અને એટલું જ નહીં મોદીએ તો પોતાના એક ચૂંટણી ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં કહી પણ દીધું કે રાહુલ ગાંધી મહાત્મા ગાંધીની સીધી લીટીના વારસાદર નથી. મોદીની આ વાત મીડિયામાં હાઈલાઇટ થઈ નહીં, પણ પ્રજા મોદીનો ઇશારો સારી રીતે સમજી ચુકી હતી. રાહુલની ગાંધી કથા સામે મોદીના વળતા પ્રહાર બાદ તો રાહુલની ગાંધી કથા વધુ અપ્રાસંગિક બની ગઈ અને તેનું સાક્ષાત્ દૃષ્ટાંત છે ગાંધીનું જન્મ સ્થળ પોરબંદર. પોરબંદર લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ વિટ્ઠલ રાદડિયાએ તો ચૂંટણીના થોડાંક જ દિવસ અગાઉ પોતાની દબંગાઈ બતાવી ગાંધીનું નામ ખૂબ રોશન કરી જ દીધુ હતું અને જ્યારે પ્રજાને તક મળી, તો તો તેણે ગાંધીના વારસાને ઢસડનાર કોંગ્રેસને પોરબંદરના કિલ્લેથી સંદેશો આપી દીધો કે ગાંધીનો પડછાયો કદાચ હવે કોંગ્રેસ ઉપર ભાર બની રહ્યો છે, કારણ કે કોંગ્રેસ જે ગાંધીને ખભે બેસાડી ફરે છે, તે વાસ્તવમાં ખભે કે માથે બેસાડવાની વસ્તુ નહીં, પણ આચરણની બાબત છે. પોરબંદરની પ્રજાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ઘેર બેસાડી કોંગ્રેસના ગાંધીવાદી રાજકારણ ઉપર પહેલું પ્રશ્નચિહ્ન મુકી દીધું, તો સમગ્ર પરિણામે સ્પષ્ટ કરી નાંખ્યું કે રાહુલની ગાંધી કથા ગુજરાતમાં એક ફ્લૉપ ફિલ્મની જેમ સાબિત થઈ.
હકીકતમાં ગુજરાતને રાહુલના ગાંધી ગમ્યા નહીં. ગુજરાત તો ઘેલું છે મોદીના મહાત્માનું. અરે ભાઈ, અમે નથી કહેતાં, લોકશાહી ઢબે પ્રાપ્ત જનાદેશ એમ કહે છે. એવું નથી કે ગાંધીની ચર્ચા કોંગ્રેસનો ઇજારો છે. ગુજરાતમાં પણ ગાંધીની ચર્ચા થાય છે, પરંતુ ગાંધી... ગાંધી... ગાંધી... નો શોર નથી હોતો. ગુજરાતમાં ગાંધી પ્રસિદ્ધ છે મહાત્મા તરીકે અને હજુ આવતા મહીને આ મહાત્મા ગાંધીનરથી માંડી દિલ્હી જ નહીં, પણ દેશ-વિદેશમાં ગૂંજશે. ગુજરાતમાં પ્રસિદ્ધ છે મહાત્મા મંદિર. ગુજરાતના લોકોને મોદીના મહાત્માએ મોહી લીધાં. રાહુલના ગાંધી હકીકતમાં તેમના પોતાના રાજકીય વારસા સુધી સંકોચાઈ ગયા છે, જ્યારે મોદીના મહાત્મા કોઈ પક્ષના પ્રતીક નથી. રાહુલના ગાંધી કોંગ્રેસના આચરણ કરતાં કદાચ પ્રજાને ખૂબ દૂર લાગે છે, તો મોદીના મહાત્મા પાટનગર ગાંધીનગર ખાતે આવેલ સેક્ટર-3માં સાકાર થવાનાં છે મહાત્મા મંદિર તરીકે. આ મહાત્મા મંદિર આગામી 11થી 14 જાન્યુઆરી દરમિયાન દેશ-વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બનશે કે જ્યારે ત્યાં પાંચમું વાઇબ્રંટ ગુજરાત આંતરરાષ્ટ્રીય રોકાણકાર સમ્મેલન યોજાશે. આ મહાત્મા મંદિરને અનેક ટીકાકારોએ મોદીનું માર્કેટિંગ સ્થળ પણ કહ્યું હશે, પણ જનાદેશ તો એમ જ કહે છે કે ગુજરાતના લોકો માટે આચરણથી માઇલો દૂર રાહુલના ગાંધી નહીં, પણ પોતાના હૃદયની નજીક સાકાર થતાં મોદીના મહાત્મા વધુ આકર્ષે છે અને મોહે છે.