ગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે!
પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા યથાવત છે ત્યારે કોંગ્રેસ વિપક્ષના નેતાની કમાન કોને સોંપશે તેના પર સૌની નજર છે. હવે વિપક્ષના નેતાના નામ અંગેની જાહેરાત ઉત્તરાયણ પછી થાય તેવી શક્યતા છે. આ માટે ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકોનાં નામની જાહેરાત દિલ્હીથી કરવામાં આવશે. આ નિરીક્ષકો ધારાસભ્યોનો અભિપ્રાય મેળવીને વિરોધપક્ષના નેતાના નામની જાહેરાત કરશે.
કોંગ્રેસની પરંપરા અનુસાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતાની વરણી માટે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાય છે. આ પરંપરા જાળવી રાખવા માટે હાઈકમાન્ડે નિયુક્ત કરેલા નિરીક્ષકો ચૂંટાયેલાં તમામ ધારાસભ્યોને રૂબરૂ મળીને વિરોધપક્ષના નેતાપદ માટે લાયક ધારાસભ્ય વિશે અભિપ્રાય મેળવે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળવાનું છે આ પહેલા વિપક્ષના નેતાની નિયુક્તિ જરૂરી છે જેથી સત્રમાં યોગ્ય પ્રશ્નો ઉઠાવી શકાય. આ સંજોગોમાં ગુજરાતમાં વિપક્ષી નેતાનો મામલો 14મી જાન્યુઆરી પછી હાથ પર લેવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષીનેતા પદના મુદ્દે ધારાસભ્યોમાંથી પણ અલગ અલગ સૂર વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે હાઈકમાન્ડ પણ અવઢવની સ્થિતિમાં છે.