ગુજરાતના સૌરાષ્ટ્ર - સુરતમાં વરસાદની સવારીથી લોકો ગેલમાં
સૂરત, 11 જુલાઇ : આજે સવારે ગુજરાતના સૂરત શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. જો કે હળવા વરસાદમાં પણ સૂરત શહેરના સામાન્ય જનજીવનને તકલીફ ભોગવવાની સ્થિતિ ઉભી થઇ હતી. શહેરમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેના કારણે ચોક બજારથી સરદાર બ્રિજ સુધી ચક્કા જામ સર્જાયો હતો.
બીજી તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદે વહાલ વરસાવ્યો છે. જેના કારણે લોકો ગેલમાં આવી ગયા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર માળિયા હાટી વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકતા લોકો સહિત ધરતીપુત્રોમાં ખુશી છવાઇ ગઇ હતી. ચોરવાડમાં સવારથી મેઘકૃપા વરસી રહી હોવાના સમાચાર છે.
જ્આરે જૂનાગઢ શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગઇકાલે મેઘાએ મોંઘેરી પધરામણી કરી છે અને આજે સવારે પુરા થયેલા 24 કલાક દરમ્યાન 188 મી.મી. વરસાદ નોંધાયો હતો.
રાત્રિની મેઘ મહેર બાદ આજે બીજા દિવસે પણ માળિયા વિસ્તારમાં વરસાદી માહોલ પ્રવર્તે છે અને આજે દિવસ દરમ્યાન મેઘો માળીયાનો મહેમાન બને તેમ હોવાનું જણાય રહ્યું છે.
જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15 મી.મી., ભેસાણમાં 3 મી.મી., કેશોદમાં 29 મી.મી., માણાવદરમાં 31 મી.મી., માંગરોળમાં 3 મી.મી., મેંદરડામાં 19 મી.મી., વંથલીમાં 28 મી.મી., અને વિસાવદર ખાતે 36 મી.મી. વરસાદ નોંધાયો હતો.
દરિયાઇ વિસ્તાર ચોરવાડમાં સવારથી મેઘાએ પધરામણી કરી છે. વહેલી સવારે ઝાપટુ વરસ્યા બાદ સવારે 8.30થી ફરી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઇ કાલે મધ્યગુજરાતના વડોદરામાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી હતી.