Rajya Sabha Election :રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું, 4 બેઠક 6 ઉમેદવાર
ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2018: રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું, 4 બેઠકોને 6 ઉમેદવાર
સોમવારે, રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. 23 માર્ચે રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં થશે. પણ ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ રાજ્યસભાની ચૂંટણી ગુજરાત રાજકારણમાં મોટી ઉથલપાથલ લાવશે તે વાતની સ્પષ્ટતા ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ થઇ ગઇ હતી. જ્યાં ભાજપ તરફથી આજે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ત્યાં જ કોંગ્રેસ તરફથી ડૉ.અમી યાજ્ઞિક અને નારણ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. જો કે તે પછી કોંગ્રેસના પી.કે.વાલેરા પણ અપક્ષ તરીકે ફોર્મ ભરતા અને જીતુ વાઘાણી તરફથી પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ડમી ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ રાજ્ય સભાની 4 સીટો માટે 6 ઉમેદવારો ઉભા થયેલા છે. જે પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રેસવાર્તા કરીને સ્પષ્ટતા પણ આપી છે. જે જોતા રાજ્યસભાની ચૂંટણી પહેલા જ આ ગૂંચડું ગુચવાઇ ગયું છે. જાણો આ સમાચાર અંગે વધુ વિગતવાર અહીં....

ભાજપના ઉમેદવાર
સોમવારે રાજ્યસભાની ચૂંટણીમાં નામાંકન ભરવાનો છેલ્લો દિવસ હોઇ ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે પહેલા નામોની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. પાટીદાર ફેક્ટરને જોતા આ બંને નેતાઓની પસંદગી કરવામાં આવી હોય તેમ મનાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની હાજરીમાં આ બંને નેતાઓએ સવારે ફોર્મ ભર્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસ તરફથી રવિવારે રાતે ડૉ.અમી યાજ્ઞિક અને નારણ રાઠવાના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ આ બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે નારણ રાઠવાએ આજે રાજ્યસભા માટે ફોર્મ ભર્યું પણ તેમાં કેટલીક વિગતો ન હોવાને કારણે આ ફોર્મ રદ્દ થવાની સંભાવના વધી ગઇ છે. જો કે આ ફોર્મ રદ્દ થશે તે અંગે સ્પષ્ટતા મંગળવારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. પણ તેમ છતાં હાફળી ફાફળી થઇ ગયેલી કોંગ્રેસે બાજી ભાજપ જોડે ના જતી રહે તે ડરે કોંગ્રેસના પી.કે.વાલેરાને પણ અપક્ષ તરીકે ફોર્મ ભરાવ્યું છે. જેથી જો રાઠવાનું ફોર્મ રદ્દ થાય તો પણ વાલેરાનું ફોર્મ રહે અને તેના બે ઉમેદવાર આ ચૂંટણીમાં ઉભા રહી શકે.

અમી યાજ્ઞિક
કોંગ્રેસમાં અમી યાજ્ઞિકનું નામ જાહેર થતા પણ આતરિક વિવાદ બહાર આવ્યો છે. કોંંગ્રેસના સોનલ પટેલે અસંષોનષને પગલે રાજીનામુ આપાવાની ચીમકી ઉચ્ચારી છે. અને તેમણે જણાવ્યું હતું કે અમીબહેને પક્ષ માટે એવા કોઈ કામ ન થઈ કર્યા કે તેમને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામાં આવે .પક્ષમાં અન્ય ઘણા લોકો છે જે આ માટે યોગ્ય છે. મને અમીબહેન સામે કોઈ વ્યક્તિગત વાંધો નથી પરંતુ પક્ષના સંદર્ભે જોતા આ યોગ્ય બાબત નથી લાગતી.

ભાજપનો ગેમ પ્લાન
જો કે આ તમામમાં છેલ્લે ભાજપે ડમી ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવતા રાજકારણ ગરમાયું હતું. આ પછી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પ્રેસવાર્તા કરીને કહ્યું હતું કે "આ ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધીને કારણે તેમના પક્ષમાં મોટો અસંતોષ ઉભો થયો છે. કોંગ્રેસ તરફથી 2 ઉમેદવાર સાથે અપક્ષ ઉમેદવાર પી.કે. વાલેરાએ પણ ફોર્મ પક્ષમાં ભારે અસંતોષ છે તે બહાર આવ્યું છે. આ અપક્ષના ફોર્મના કારણે કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ બળવો થાય એવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખી કિરીટસિંહ રાણાનું ફોર્મ અમે પણ ભરાવ્યું છે" આમ 4 ઉમેદવારો માટે ગુજરાતમાંથી જ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. સાથે જ જો ક્રોસ વોટિંગ થાય તો ભાજપને લાભ મળે તેવી તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યસભાની ચૂંટણી
હજી ગત વર્ષે જ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને તેના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ના કરે તે માટે બેંગ્લોર લઇ જવા પડ્યા હતા. અને તેમ છતાં કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારે આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપે, આ વખતની પણ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનાવશે તે વાતની ખાતરી ઉમેદવારી ફોર્મ વખતથી જ આપી દીધી છે.












Click it and Unblock the Notifications
