ગુજરાતની GSRTC બસની મુસાફરી બનશે સસ્તી : સૌરભ પટેલ
ગાંધીનગર, 2 જુલાઇ : ગુજરાતના નાગરિકોને રાહત આપતા એક પગલાંમાં ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC - જીએસઆરટીસી)માં પેસેન્જર ટેક્સ 10 ટકા જેટલો ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમ કરવાથી જીએસઆરટીસી બસની મુસાફરી સસ્તી થવાની શક્યતા છે. જેના કારણે જીએસઆરટીસીમાં મુસાફરી કરતા લાખો લોકોને સીધો ફાયદો થવાની શક્યતા છે.
આ ઉપરાંત બીજા રાહતના સમાચાર આપતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે ઘરેલુ વપરાશની એલપીજી પર કોઇ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવશે નહીં. જો કે ગુજરાતના નાણાપ્રધાન સૌરભ પટેલે 12 કે તેથી વધારે બેઠકવાળી સાદી કે લક્ઝરી બસ પર ટેક્સ વધારવાની વાત પણ બજેટમાં જણાવી હતી.

ગુજરાત વિધાનસભામાં 1 જુલાઇના રોજ અંદાજપત્ર 2014-15 રજૂ કરતા સમયે નાણાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રમોટ કરવા માટે વર્ષ 2014-15 દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં વર્તમાન પેસેન્જર ટેક્સ 17.5 છે તેમાં 10 ટકા છૂટ આપી 7.5 ટકા રાખવા માંગે છે. આ ફેરફાર અમલી બનાવવા માટે રાજ્ય સરકાર ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ (પેસેન્જર ટેક્સ) એક્ટ, 1958માં સુધારો કરશે.
સૌરભ પટેલનું કહેવું છે કે જીએસઆરટીસીની બસોમાં પેસેન્જર ટેક્સ ઘટતાં બસના મુસાફરી ભાડામાં ઘટાડો થશે. જેના કારણે આ બસોમાં દૈનિક મુસાફરી કરતા અંદાજે 20 લાખ લોકોને તેનો લાભ મળશે. આ ઘટાડો કરવાથી રાજ્ય સરકારને વાર્ષિક ધોરણે રૂપિયા 150 કરોડનો ફટકો પડશે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે 100 કરોડનો ફટકો પડશે. જો કે ચાલુ નાણાકીય વર્ષથી 12 કે તેથી વધારે બેઠકો વાળી સાજી કે લક્ઝરી ટુરીસ્ટ બસમાં ટેક્સમાં વધારો કરવાથી સરકારને વર્ષ 2014-15માં રૂપિયા 40 કરોડની આવક થશે.












Click it and Unblock the Notifications
