બનાસકાંઠાના ચંડીસરથી ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ!
બનાસકાંઠામાં આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આજથી પ્રારંભ થનાર છે. જેને લઇને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઇ.
બનાસકાંઠામાં આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આજથી પ્રારંભ થનાર છે. જેને લઇને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઇ. જેમાં કાર્યક્રમની રૂપરેખા અને સેવા સેતુ, વૃક્ષારોપણ, સ્વચ્છતા સહિત લોકડાયરો અને ભવાઇના કાર્યક્રમો યોજવા બાબતેની સમીક્ષા કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. જેનો પ્રારંભ આજે સાંજે પાલનપુર તાલુકાના ચંડીસર ખાતેથી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરશે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના સુચારૂ આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યાત્રાના આયોજન અંગે વિસ્તૃત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન મહેસૂલ વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને એક જ સ્થળે સેવાઓ અને લાભો અપાશે. વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ, પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પ, નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકડાયરો અને ભવાઇના કાર્યક્રમો યોજાશે. જેના માધ્યમથી સરકારશ્રીની પ્રજાલક્ષી કલ્યાણકારીની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, નાયબ વન સંરક્ષક સહિત લાયઝન અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.