Gujarat Weather: ગુજરાતમાં આંધી-તોફાનના એંધાણ, આ દિવસે ગાજવીજ સાથે થશે વરસાદ
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી બે દિવસ આંધી-વંટોળની સંભાવના છે. પવનની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. આગામી દિવસોમાં ચોમાસુ દસ્તક આપવાના સંકેત હવામાન વિભાગે આપી દીધા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ થોડા દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસુ બેસી જશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં તેમજ કચ્છમાં ધૂળની ડમરીઓ સાથે વંટોળની સંભાવના છે.

રાજ્યમાં હાલમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ છે. જે 1થી 2 ડિગ્રી જેટલો ઘટ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. રાતે ઠંડા પવનનોને કારણે વાતાવરણ પલટાતા લોકોને રાહત અનુભવાઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી, અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, રાજકોટમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 40.3 ડિગ્ર, ડીસામાં 40 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવિટી સાથે આંધી-વંટોળનુ પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી-વંટોળ આવી શકે છે.
વળી, તેમણે જણાવ્યુ કે ચોમાસુ કેરળ પહોંચી ગયુ છે. જેના પરિણામે અરબ સાગરમાં કરન્ટ જોવા મળશે. 8 જૂને દરિયામાં પવનો બદલાશે અને તેનુ જોર વધશે. 8 જૂનથી 14 જૂન વચ્ચે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
