'ગુનો કર્યો હતો તો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો કેમ લીધો?'
હાર્દિક પટેલે રાષ્ટ્રધ્વજના અપમાનનો બે વર્ષ જૂનો કેસ પરત ખેંચવાની સરકારની નીતિ પર પ્રશ્ન કર્યો છે.
રાજ્યમાં જ્યાં એક તરફ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારની કામગીરીમાં વ્યસ્ત છે, ત્યાં બીજી બાજુ પાસ કન્વીર હાર્દિક પટેલ પાટીદાર અનામતને લઇને ફરી પાછા સક્રિય થઇ ગયા છે. તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિ હેઠળ રાજકોટમાં રોડ અને જનસભાનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પાટીદારોનો મુદ્દો ઉકેલવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે, પરંતુ એ પ્રત્યે પાટીદારોને અસંતોષ છે એ વાત સાબિત થઇ છે. આ બેઠકમાં અનામતના મુદ્દે કોઇ નક્કર નિર્ણય નહોતો લેવાયો, પરંતુ પાટીદારો પર કરવામાં આવેલ કેસ પરત ખેંચવાની માંગણી સરકારે સ્વીકારી હતી. સરકારની આ નીતિ પર પ્રહારો કરતાં હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, મેં ગુનો કર્યા હતો, તો સરકારે રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ કેમ ખસેડી દીધો? અને જો હું ખોટો નહોતો, તો આરોપ કેમ મૂક્યો હતો? નોંધનીય છે કે, પાટીદારો પરના કેસો પરત ખેંચવાની શ્રેણીમાં જ હાર્દિક પટેલ પર રાષ્ટ્રધ્વજના અપમાન બદલ કરવામાં આવેલ 2 વર્ષ જૂનો કેસ પરત ખેંચવાનો આદેશ રાજકોટના જિલ્લા કલેક્ટરે આપ્યો હતો.
मैंने गुनाह किया था तो सरकार ने राष्ट्रध्वज के अपमान का आरोप क्यूँ हटाया ? अगर ग़लत नहीं किया था तो आरोप क्यूँ लगाया ?
— Hardik Patel (@HardikPatel_) October 15, 2017
તેમણે અન્ય ટ્વીટમાં પણ ભાજપ અને ભાજપની વિકાસની નીતિ પર પ્રશ્ન કરતાં લખ્યું હતું કે, જો વિકાસ થયો હોત તો ખેડૂતોએ આત્મહત્યા ન કરી હોત. મેટ્રો ટ્રેન પહેલાં બુલેટ ટ્રેનની વાત કરવામાં ન આવત. ગુજરાતની 6 કરોડની જનતા આ ચૂંટણીમાં એવા પરિણામો લાવશે, જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિ હેઠળ રાજકોટમાં આયોજિત જનસભામાં પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તથા એ સ્પષ્ટ કર્યું હતું કે, જો સરકાર તરફથી પાટીદારોને અનામત આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપને મત પણ નહીં મળે.