કરજણ નદીમાં ફસાયેલી લોકોનું NDRF-SDRFની ટીમે અંધારામાં જ બહાદૂરીપૂર્વક તમામને રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમહેર થઇ રહી છે. એમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદથી રાજ્યના જળાશય, ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ
ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમહેર થઇ રહી છે. એમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદથી રાજ્યના જળાશય, ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ રહી હોવાથી નદીકાંઠાના કેટલાક નીચાણવાળા ગામોમાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્યના કોઈ નાગરિક કે પશુનો જીવ ન જોખમાય તે માટે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી વખતો વખતની આગાહીઓને ધ્યાને લઇ આગવી સતર્કતાથી કામ કરી રહ્યું છે.

ગત તા. ૧૧મી જુલાઈના રોજ રાત્રે રાજ્ય સરકારના વહીવટી તંત્રની સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના બની હતી. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે નર્મદા જિલ્લામાં વહેતી કરજણ નદીમાં વરસાદી પાણીની ભારે આવક થઇ હતી. જેથી નદીના પટમાં રાજપીપળા સ્મશાન ઘાટ નજીકના વિસ્તાર સુધી નદીનું પાણી આવી પહોંચતા ૨૧ વ્યક્તિઓ નદીના વહેણમાં ફસાયા હતા.
રાત હોવાથી એક બાજુ અંધારું અને બીજી બાજુ પાણીનું વહેણ વધારે હોવાથી વહીવટી તંત્ર દ્વારા સ્થિતિની ગંભીરતા સમજતા તુરંત જ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા માટે હેલીકોપ્ટરની માંગણી કરવામાં આવી હતી. સ્થિતિ ગંભીર હોવાથી હેલીકોપ્ટર સ્થળ પર પહોંચે ત્યાં સુધીનો સમય ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ NDRF અને SDRFની ટીમ દ્વારા રાત્રીના આવા અંધારામાં જ બહાદૂરી પૂર્વક એક દિલ-ધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ ૨૧ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી તેમને સલામત સ્થળ સુધી પહોચાડવામાં આવ્યા હતા. આમ, રાજ્ય સરકારના આગવા આયોજન અને વહીવટી તંત્રની સતર્કતાને પગલે ૨૧ જેટલા નાગરિકોનો જીવ બચાવી શકાયો.
રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા આગવું આયોજન કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, NDRF- SDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે, લોકોને સલામત સ્થળે ખસેડી તેમના આરોગ્ય અને ખોરાક જેવી વિવિધ બાબતોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરીને ચોમાસા દરમિયાન રાજ્યમાં 'ઝીરો કેઝ્યુલીટી'ના અભિગમ અને સુદ્રઢ આયોજન સાથે સતત કામ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
