સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ થયું જળબંબાકાર
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ થયું જળબંબાકાર
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગર જિલ્લામાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે જતા રહેવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર થયું પાણીપાણી
સૌરાષ્ટ્રમાં આખરે વરસાદે એન્ટ્રી પાડી છે. શુક્રવારે સાંજથી શરૂ થયેલ વરસાદે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગામડાઓને ધમરોડ્યાં છે. સૌરાષ્ટ્ર પંથકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં મેઘ તાંડવ હજુ પણ ચાલુ છે. ગતરોજ ગોંડલ અને જસદણમાં એક ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.

ન્યારી-2 ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલાયા
રાજકોટમાં પડેલ ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ , આજી-1 ડેમમાં 1.80 ફૂટ , ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થવા પામી છે. જ્યારે ન્યારી ડેમ 2 ઓવરફ્લો થતા 10 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી-2માંથી 21230 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

વરસાદની ટકાવારી
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 77.80 ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા વરસાદ નોંધાયો છે, જે બાદ બીજા નંબરે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા, સૌરાષ્ટ્રમાં 64.15 ટકા, કચ્છમાં 61.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા વરસાદ નોંધાયો છે. હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં દિવાલ જમીનદોસ્ત
છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. શહેરના રાણી, નવરંગપુરા, બોપલ, સીજી રોડ, મણીનગર સહિતના કેટલાય વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાયાં હતાં. જ્યારે બોપલ વિસ્તારમાં દિવાલ ધરાાશાયી થતાં બે લોકો દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. જેને પગલે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.












Click it and Unblock the Notifications
