દ્વારકા મંદિર પર હુમલો કરાવી શકે છે ISIS, સૌરાષ્ટ્રમાં હાઇ એલર્ટ
આઇબીના અહેવાલ મુજબ પાકિસ્તાની આતંકવાદીઓની 2 શંકાસ્પદ બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી હોવાની આશંકાઓને પગલે સૌરાષ્ટ્રમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના 12 થી 15 આતંવાદીઓ દ્વારકા તાલુકામાં ઘૂસી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આઇએસઆઇનું મુખ્ય ટાર્ગેટ દ્વારકાનું જગત મંદિર હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
મરીન કમાન્ડો, તમામ સુરક્ષા એજંસીઓ, એસઆરપી જવાનો અને સ્થાનિક પોલિસની મદદથી સમગ્ર દ્વારકા તાલુકામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સ્થાનિક રહીશો તેમજ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોને માહિતગાર કરીને સતર્ક રહેવા જણાવવામાં આવ્યુ છે. દરેક એન્ટ્રી પોઇંટ પર સીસીટીવી કેમેરાથી મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જવાનોને બુલેટપ્રુફ જેકેટથી તૈનાત કરાયા છે. આધુનિક ઉપકરણો અને ટેકનોલોજીની મદદ લેવાઇ રહી છે.
દ્વારકાના દરિયામાં 24 ટાપુઓ છે જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસવાટ છે બીજા બધા ટાપુઓ નિર્જન છે. આશંકા સેવાઇ રહી છે કે 26/11 ના મુંબઇ હુમલાની મોડસ ઑપરેંડી દ્વારા આતંકવાદીઓ હુમલો કરી શકે છે.
વરસાદે મારી નવરાત્રીની મઝા, લોકો કાઢ્યો ટ્વિટર પર રોષ
બધા પોલિસ કર્મચારીઓને તેમની ફરજ પર પરત આવી રિપોર્ટ કરવા સૂચના અપાઇ છે. આ સાથે જે આઇપીએસ અધિકારીઓ પોતાના હેડક્વાર્ટરથી બહાર ગયા છે, તેમને તરત જ પરત આવવા માટે કહેવામાં આવ્યુ છે. પોલિસે દ્વારકાની સાથે સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દીધી છે. આતંકવાદી હુમલાની આશંકાના પગલે બધા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દરેક માર્ગો પર રાઉંડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આઇબીના અહેવાલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી પોતે સુરક્ષા વ્યવસ્થા ચેક કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત તરફથી પીઓકેમાં કરાયેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ દેશમાં આતંકવાદી હુમલાની સંભાવના વધી ગઇ છે. આ પહેલા હુમલા અને યુદ્ધની આશંકા વચ્ચે ભારતીય સેનાએ બુધવારે ગુજરાતના કચ્છમાં એક પાકિસ્તાની બોટ પકડી હતી. બોટમાં સવાર 6 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીએસએફ બધાની પૂછપરછ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં તેઓ માછીમારો હોવાનુ જણાયુ હતુ.