પ્રદિપસિંહ જાડેજાએ લીધો પૂર્વ DGP પી.પી.પાન્ડેયનો પક્ષ
ભૂતપૂર્વ ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાન્ડેય વિષે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્યા આ ખુલાસા. વિગતવાર વાંચો અહીં.
ગુજરાત રાજ્ય સરકારે આજે ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીના નામની જાહેરાત કરી છે. આ સાથે જ તે ગુજરાતની પહેલી મહિલા ડીજીપી બની ચૂક્યા છે. તો આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાન્ડેય અંગે પણ કેટલીક વાતો જણાવી હતી. નોંધનીય છે કે મીડિયામાં પી.પી.પાન્ડેય જાતે નિવૃત્તિ લીધે કે પછી કોર્ટના આદેશ હેઠળ તેમને નીકાળવામાં આવ્યા તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. જે પર ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, રાજ્યના પોલીસ વડા પી.પી. પાન્ડેયએ સ્વૈચ્છિક. રીતે જવાબદારીમાંથી મુક્ત થવા જણાવતા રાજ્ય સરકારે તેમના આ નિર્ણયની નામદાર સુપ્રિમ કોર્ટેને જાણ કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, આગામી સમયમાં રાજ્યની વિધાનસભાના બજેટ સત્રની કામગીરી અને રાજ્યના યુવાનોને નશાબંધીમાંથી મુક્ત કરવામાં માટેનો સૌથી મહત્વનો નશાબંધી સુધારા અંગેના કાયદાને કેબીનેટ દ્વારા ઓર્ડીનન્સ મંજૂર કર્યો હતો. તેને પણ કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં લાવવાનું હતું. સાથે સાથે સેફ એન્ડ સીક્યોર ગુજરાત સીસ્ટમનું અમલીકરણ પણ તેમના નેતૃત્વ હેઠળ અંતિમ તબક્કામાં હતુ. તેમજ ૧૭ હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં હતી આવી અનેક મહત્વની બાબતો સંદર્ભે ગુજરાત સરકારે પાન્ડેનું છ માસનું એક્ષટેન્શન માંગ્યું હતું, જેની સામે ઓલ ઇન્ડીયા સર્વીસ રૂલ્સ (ડેથ કમ રીટાયરમેન્ટ) રૂલ્સના રૂલ - ૧૬ (૧) મુજબ કેન્દ્ર સરકારે શ્રી પાંડેને ૩ માસનું એક્ષટેન્શન આપ્યું હતું.
Read also : ગુજરાતની પહેલી મહિલા ઇન્ચાર્જ ડીજીપી બની ગીથા જોહરી
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ૩૭ વર્ષથી જેમણે નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજો બજાવી છે તેવા પી.પી.પાન્ડેય સામે થયેલા આક્ષેપો તથ્ય વગરના અને પાયા વિહોણા છે. તેમની સામે કોર્ટમાં જે કેસ ચાલે છે તેમાં માત્ર ચાર્જશીટ જ થઇ છે. કોઇ ચાર્જ ફેમ થયેલ નથી. જાડેજાએ ઉમેર્યું કે, પાન્ડેયની પ્રમાણિકતા તથા નિષ્ઠાવાન ફરજો માટે રાજ્ય સરકારને ગૌરવ છે. અને તેમણે જવાબદારીપૂર્વક રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે ઉત્તમ પ્રકારની કામગીરી કરી છે. જેના પરિણામે રાજ્યમાં સુલેહ - શાંતિ જળવાઇ રહી છે. રાજ્ય સરકાર સામે કોઇ આંગળી ચીંધી ન જાય તે માટે તેમણે સામે ચાલીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા સરકારને જણાવ્યું છે. તેમણે ગુજરાતના હિતમાં તેમના કાર્યકાળ દરમિયાન અનેક નિર્ણયો લીધા હતા જે માટે રાજ્ય સરકારને તેમના માટે ગૌરવ છે. આમ કહીં તેમણે ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાન્ડેયનો પક્ષ લીધો હતો.