1990માં કોંગ્રેસને મળ્યાં હતા માત્ર 30% મતો અને 33 બેઠકો
ગાંધીનગર, 21 ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપના પદાધિકારીઓની મીટીંગમાં દિલ્લી ખાતે એવું કહ્યું હતું કે, ગુજરાતમાં મને 20 થી 25% મુસ્લિમોના મતો મળ્યા છે. ત્યારથી કોંગ્રેસનાઅ કાન ઉભા થઇ ગયા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે અનેક બુથોના ઓફિશીયલ આંકડાઓ આપીને ગુજરાતના મુખ્યમંત્રીને એકમંચ ઉપર જાહેરચર્ચા કરવા પડકાર ફેંકતો ખુલ્લો પત્ર લખ્યો છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લઘુમતી જ નહીં પરંતુ બિનસાંપ્રદાયિકતામાં માનતા હિંદુઓએ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને મતો આપ્યા નથી. 1990માં જ્યારે ગુજરાતમાં સક્રિય રાજકારણમાં મોદીનો પડછાયો પણ ન હતો ત્યારે કોંગ્રેસને વિધાનસભાની 182 બેઠકમાંથી માત્ર 33 જ બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર 30% મતો મળ્યા હતાં.
તે જ પ્રમાણે 1995માં કોંગ્રસને માત્ર 32% જ મતો ગુજરાતમાં મળ્યા હતાં. નરેન્દ્ર મોદીના આવ્યા પછી 2002માં 38% મતો મળ્યા હતાં અને 51 બેઠકો મળી હતી. છેલ્લી વિધાનસભાની ચુંટણી-2012માં કોંગ્રેસને 40.50% મતો મળ્યા છે અને કોંગ્રેસને 61 બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસ સાથે બેઠકોની સમજૂતી કરનાર એન.સી.પી.ને પણ 2 બેઠકો મળી છે. આમ 1990ની સરખામણીમાં નરેન્દ્ર મોદીના આવ્યા પછી ગુજરાતમાં કોંગ્રસને 1990 કરતાં લગભગ બમણી બેઠકો મળી છે.
મુસ્લિમ વસ્તીવધારે ધરાવતી વિવિધવિધાનસભાની બેઠકોના બુથોના સત્તાવાર આંકડાઓની વિગતો આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોદીને સેક્યુલર મતો મળ્યા જ નથી. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં મુસ્લિમ કે હિન્દુ સેક્યુલર મતો છે ત્યાં ભાજપને મતો મળ્યા નથી. આ સત્ય હકીકત હોવા છતાં, મને 20 થી 25% મતો મળ્યા છે.
નરેન્દ્ર મોદીને આ માટે ચેલેન્જ કરતાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 20 થી 25% મુસ્લિમ મતોનો નરેન્દ્ર મોદી દાવો કરે છે, તો ગુજરાતના આ બુથોના નંબર અને નામ નરેન્દ્ર મોદી આપે તે બુથોની મતદાર યાદી અને ઈલેકશન કમિશને પ્રસિદ્ધ કરેલા ઓફિશીયલ આંકડાઓ સાથે એક મંચ ઉપર જાહેર ચર્ચા હું કરીશ.
ગુજરાતના મુખ્યમંત્રીને ખુલ્લા પત્રમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બીજાની સલામતી માટેની સલાહ આપતાં પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ જ પોતાના શાસનનું જોવું જોઈએ.
ગુજરાતમાંથી ભૂતકાળમાં 1992માં સૌથી વધારે કારસેવકો અયોધ્યા ગયા હતા, પરંતુ તે વખતની કોંગ્રેસની સરકારે કોઈપણ કારસેવકનો વાળ પણ વાંકો થવા દીધો નહોતો. કોઈપણ ધર્મના વ્યક્તિને સલામતી આપવા માટે ગુજરાતની ભૂતકાળની તમામ સરકારોએ ચિંતા કરી હતી. રામના નામે મત લીધા પછી ગુજરાતમાં રામસેવકોની પણ સલામતી ગુજરાતના મુખ્યમંત્રીએ આપી નથી.