આ બાળકની મોત માટે કોણ જવાબદાર, કૂલર બન્યું યમરાજ
અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં આવેલી ડીપી હાઇસ્કુલમાં ઠંડા પાણી માટે મૂકવામાં આવેલું કૂલર હર્ષિલ નામના બાળક માટે કાળ સાબિત થયું હતું. બીજા ધોરણમાં ભણતા હર્ષિલ સોનીનો વાંક ખાલી એટલો હતો કે તેણે આ કાળજાળ ગરમીમાં કૂલરનું ઠંડું પાણી પીવા ગયો. અને જે પાણી જ તેના માટે યમરાજ બની ગયું. એટલું જ નહીં હર્ષિલના માતા પીતાનું માનીએ તો સ્કૂલની બેદરકારીના કારણે હર્ષિલના માતા પિતા છેલ્લા સમયે તેમના બાળકનું મોઢું પણ ના જોઇ શક્યા. જ્યારે સ્કૂલવાળાએ તેમને જાણ કરી ત્યાં સુધીમાં તો તેનું મોત થઇ ગયું હતું.
હર્ષિલના સ્કુલમાં વિદ્યાર્થીઓને ઠંડુ પાણી મળી રહે તે માટે સત્તાધીશો દ્વારા કૂલર તો મૂક્યું હતું પરંતુ તેના વાયરિંગ બાબતે શાળા તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. તેના કારણે કૂલરના ખુલ્લા વાયરો હર્ષિલ માટે મોતનું કારણ બન્યા. ધોરણ 2માં ભણતો હર્ષિલ સોની રિસેશમાં કૂલર પાસે પાણી પીવા ગયો હતો. જેમાં હર્ષિલના પરિવારના જણાવ્યા પ્રમાણે કૂલરમાં આવતા કરંટના કારણે તેનુ ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ.
વધુમાં પરિવારજનોએ શાળાના સત્તાધીશો પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. હર્ષિલ સાથે શાળામાં બનેલા આ દુખદ બનાવ અંગે તેના પરિવારને પણ જાણ નહોતી કરાઇ. હર્ષિલને કરંટ લાગ્યાના બેથી ત્રણ કલાક બાદ ડીપી સ્કૂલના સત્તાધીશોએ ફોન કરીને હોસ્પિટલ લઇ ગયા હોવાની જાણ કરાઇ હતી. હર્ષિલના માતા પિતા હોસ્પિટલ પહોચ્યા ત્યારે તેમની સામે હર્ષિલનો મૃતદેહ હતો.
વધુમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્કૂલમાં બે દિવસ પહેલા એક-બે વિદ્યાર્થીને પણ વીજ કરંટ લાગ્યો હતો પરંતુ શાળાની બેદરકારીએ દાખવી તેવો આક્ષેપ પણ થયો હતો. ત્યારે હાલ વાડજ પોલીસએ અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારી પાછળ જવાબદાર કોણ?