પાટણમાં લમ્પી વાયરસથી બચાવવા 1.47 લાખ પશુઓનું રસીકરણ કરાયુ!
રાજ્યમાં લમ્પી વાયરસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં કહેર વર્તાવી રહ્યો છે.
પાટણ : રાજ્યમાં લમ્પી વાયરસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે, પાટણ જિલ્લાના સાંતલપુરમાં પ્રથમ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝને અટકાવવા માટે યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 5,331 પશુઓ સંક્રમિત થયા. જે પૈકી 3,219 પશુઓ રોગમુક્ત થયા છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

જિલ્લામાં લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરવામાં આવી. જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ટીમોને કામે લગાવવામાં આવી તેમજ પશુપાલન વિભાગ અને ડેરીના વેટરનરી ડોક્ટર્સના સંયુક્ત પ્રયાસથી અબોલ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે સારવાર પણ કરવામાં આવી. વહીવટી તંત્રએ 58 જેટલા ડૉક્ટર્સની ટીમોને સર્વેની કામે લાગી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લમ્પી વાયરસથી અબોલ પશુઓને બચાવવા રસીકરણની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો. જે બાદ પશુપાલન વિભાગ દ્વારા પુરજોશમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી. પાટણ જિલ્લામાં 1.47 સાખ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેથી રીકવરીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યુ છે. જિલ્લામાં 5,331 સંક્રમીત પશુઓ પૈકી 3,219 પશુઓ રોગમુક્ત થયા છે.
લમ્પી રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી સતત માર્ગદર્શન કરી રહ્યા છે. ઝડપી રસીકરણ દ્વારા પશુઓનો જીવ બચાવવો તેમજ પશુપાલકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે યુદ્ધના ધોરણે જિલ્લા પશુપાલન વિભાગ તેમજ આનુષાંગિક સંસ્થાઓ, દૂધ સંઘો, તેમજ વિવિધ ગામડાઓમાં મોબાઈલ પશુ દવાખાના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પશુ મૃતદેહ નિકાલની કામગીરી ઝડપી બનાવી રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્રારા પશુદવાખાના ખાતે હોર્ડીગ પર તથા દુધ મંડળી ખાતે પેમ્પફ્લેટ પત્રિકાઓ, તેમજ સોશીયલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને મોબાઇલ ગ્રુપ દ્વારા વધુમાં વધુ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
