કેશુભાઇના દીકરાની હારના મુદ્દે જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખનું રાજીનામું
જુનાગઢ, 18 જૂન : તાજેતરમાં યોજાઇ ગયેલી ગુજરાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કેશુભાઇ પટેલના દીકરા ભરત પટેલની હારના મામલે રાજકીય સાઠમારી શરૂ થઇ ગઇ છે. જેના પરિણામે જુનાગઢ ભાજપના પ્રમુખે રાજીનામુ ધરી દેવું પડ્યું છે.
ભરત પટેલની હારના મુદ્દે ચગેલા વિવાદને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. આ સાથે સ્થાનિક રાજકીય સમીકરણો પણ બદલાઇ રહ્યા છે. ભરત પટેલની હારના પ્રત્યાઘાતરૂપી પડેલા પડઘાને પગલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખપદેથી કનુભાઇ ભાલાળાએ રાજીનામું ધરી દેતા જૂનાગઢ સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.

છેલ્લા કેટલાક સમયથી બહુ ગાજેલી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હાર સહન કરવી પડી છે. કેશુભાઇએ આ બેઠક ખાલી ર્ક્યા બાદ ભાજપે ત્યાંથી તેમના પુત્ર ભરત પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. આમ થતાં ભાજપમાંથી જ થોડો વિરોધ પણ ઊઠ્યો હતો. દરમિયાન હવે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી કનુભાઇ ભાલાળાનો ભોગ લેવાઇ ગયો છે. આ મામલો હજુ પ્રદેશ કારોબારીમાં પેન્ડિંગ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન જ ભરત પટેલે ભાજપનાં જ કેટલાક લોકો દ્વારા તેમના વિરોધી પ્રવૃત્તિ ચાલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ સમક્ષ કરી હતી. આ સંદર્ભે જૂનાગઢ ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેનારા ભાલાળાએ જણાવ્યું હતું કે, મોવડી મંડળે મને કહ્યું તમારે હારની જવાબદારી સ્વીકારવી જોઇએ. એટલે મેં થોડા દિવસો પહેલાં રાજીનામું આપી દીધું છે. હવે તે સ્વીકારવું કે નહીં એ પ્રદેશ મોવડી મંડળે નક્કી કરવાનું છે.
આ સંદર્ભમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં થયેલી ભાજપની હારની જવાબદારી સ્વીકારીને કનુભાઇએ રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ પ્રદેશે આ અંગે કોઇ નિર્ણય ર્ક્યો નથી.












Click it and Unblock the Notifications
