ઇશરત કેસ : સીબીઆઇ સાથે સતીશ વર્માની ટર્મ એપ્રિલમાં પૂરી થશે
ગુજરાત હાઇકોર્ટે ઇશરત જહાં અને અન્ય ત્રણના એન્કાઉન્ટર કેસની તપાસમાં સીબીઆઇને મદદ કરવા માટે વર્માને જણાવ્યું હતું. હવે આગામી 30 એપ્રિલે વર્માની સીબીઆઇ સાથે કામ કરવાની ટર્મ પૂરી થઇ રહી હોવાથી સીબીઆઇના કાઉન્સેલ યોગેશ રવાણીએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે વર્માની મુદત વધુ ચાર મહિના લંબાવી આપવામાં આવે.
બીજી તરફ સરકારી અરજદાર પ્રકાશ જાની આ સાથે અસહમત છે. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે વર્મા ઉચ્ચ અને અનુભવી પોલીસ અધિકારી છે. તેમણે ગુજરાત સરકારની સેવામાં પાછા ફરવું જોઇએ. સરકારને તેમની વધારે જરૂર છે.
જાનીએ એવી દલીલ પણ કરી છે કે સીબીઆઇ પાસે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ છે, જેઓ સમગ્ર કેસની તપાસ સંભાળી શકે છે. વર્માને સીબીઆઇની મદદ કરતા લગભગ એક વર્ષનો સમય થઇ ગયો છે.
હાઇ કોર્ટનો આદેશ હતો કે વર્માએ કેસની તપાસમાં સીબીઆઇને 30 એપ્રિલ, 2013 સુધી મદદ કરવી અને ત્યાર બાદ ગુજરાત કેડરમાં પાઠા ફરવું. બેંચે નોંધ્યું છે કે હવે પછી સીબીઆઇને તેમની મદદ નહીં મળે.
આ સાથે હાઇ કોર્ટે સીબીઆઇની તપાસથી સંતોષ વ્યક્ત કર્યો છે. જસ્ટિસ જયંત પટેલ અને અભિલાષા કુમારીની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે સીબીઆઇની તપાસની દિશા અને ગતિ સંતોષકારક છે. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે "એમ લાગી રહ્યું છે કે છેલ્લા બે મહિનામાં સીબીઆઇએ મહત્વપૂર્ણ પ્રગતિ હાથ ધરી છે." આ સાથે હાઇ કોર્ટે સીબીઆઇને આગલો રિપોર્ટ 9 મે, 2013ના રોજ રજૂ કરવાનો આદેશ કર્યો છે.