વિરોધની વચ્ચે મુફ્તી અ'વાદમાં, મોદીના કર્યા ભરપૂર વખાણ
અમદાવાદ, 2 મે : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદ સઇદ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. મુફ્તી સઈદે અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. વેલકમ જમ્મુ એન્ડ કાશ્મીર નામના આ કાર્યક્રમમાં મુફ્તી સઈદે પત્રકારો સાથે વાતચીત કરી અને ગુજરાતની જનતાને જમ્મુ-કાશ્મીર પ્રવાસ ખેડવા આમંત્રણ આપ્યું હતું. મુફ્તીએ પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતના વિકાસના ભરપૂર વખાણ કર્યા, તેમ જ નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને પમ વાગોળ્યું હતું. જોકે શિવસેના દ્વારા મુફ્તીનો વિરોધ પણ થયો હતો.
મુફ્તીને બતાવાયા કાળા વાવટા
મુફ્તી આજે અમદાવાદના મહેમાન બન્યા હતા, જોકે આની વચ્ચે શિવસેનાના કાર્યકરો દ્વારા તેમનો સખત વિરોધ કરાયો હતો. શિવસેનાના કાર્યકરોઓએ હોટેલ હયાત સામે મુફ્તીને કાળા વાવટા અને કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અમદાવાદમાં આવ્યા છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઇ શકી નથી, કારણ કે આનંદીબેન પટેલ વ્યારા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા ગયા છે.

મુફ્તીએ વધુમાં જણાવ્યું કે મસરત આલમને છોડ્યા પછી તેના હાથમાં મેં ખુદ પાકિસ્તાનનો ઝંડો જોયો હતો, અમારી સરકારે એક્શન લીધા. ત્રાલમાં પાકનો ધ્વજ ફરકાવવા વિરુદ્ધ કાર્યવાહી થશે. કેટલાંક લોકો પોતાને ફેમશ કરવા માટે પણ આવું કૃત્ય કરતા હોય છે. જે પણ એમાં દોષી છે એની સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન મુફ્તી સઇદે આપ્યું હતું.
ગુજરાતમાં મુફ્તીએ કર્યા મોદીના વખાણ
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સંયુક્ત સરકાર છે, અને મુફ્તી મોહમ્મદ સઇદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી છે. ગુજરાતમાં આવીને પહેલીવાર મુફ્તીએ નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા. મુફ્તીએ મોદીનાં વખાણ કરતા જણાવ્યું હતું કે મોદી સપનું ચોક્કસ સાકાર થશે. સબકા સાથ, સબકા વિકાસ સૂત્રને સાકાર કરવા સમય લાગે છે.
મુફ્તીએ કહ્યું અચ્છા વક્ત આનેવાલા છે
મુફ્તીએ કાશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે કાશ્મીરમાં કોઈ ખતરો નથી. કાશ્મીર એવી જગ્યા છે જ્યાં માત્ર જુવાન છોકરી જ નહીં વહુ-દીકરીઓ પણ સુરક્ષિત છે. કાશ્મીર એ શાંતિની જગ્યા છે અને અમે પણ ત્યાં શાંતિભર્યું વાતાવરણ બનાવવા ઇચ્છીએ છીએ. મુફ્તીએ કાશ્મીર ટૂરિઝમ માટે સારી આશા વ્યક્ત કરતા જણાવ્યું કે અચ્છા વક્ત આનેવાલા છે.
કાશ્મીરી પંડિતો વિશે પોતાનો મત સ્પષ્ટ કર્યો
ભલે નાણાપ્રધાન હસીબ ડિબ્રુએ કાશ્મીરી પંડિતોના પુનર્વાસ પર જવાબ આપતા ટાળ્યો હતો પરંતુ મુફ્તીએ જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિત અમારી પરંપરાનો એક ભાગ. 1990થી આજ સુધી તેમને પાછા બોલાવવામાં અમે કામિયાબ નથી થયાં પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.
બાપુના કર્યા વખાણ
મુફ્તીએ દેશને અંહિસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીના પણ ભરપૂર વખાણ કર્યા. મુફ્તીએ જણાવ્યું કે ગુજરાત ગાંધીની જન્મભૂમિ છે. ગાંધીજીએ બંદૂકથી નહિ પરંતુ અહિંસાથી આઝાદી અપાવી, તેમણે માનવતાનો સૌને શીખવ્યો.












Click it and Unblock the Notifications
