બાળકો પર થતા જાતીય શોષણના ગુન્હામાં કન્વીક્શન રેટ વધારવાની દિશામાં સરકાર પ્રયત્નશીલ: હર્ષ સંઘવી
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તેમજ બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંયુક્ત ઉપક્રમે “બાળકો
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તેમજ બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંયુક્ત ઉપક્રમે "બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો" વિષય પર આજે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક સલાહકારી બેઠક યોજવામાં આવી હતી.
બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં કન્વીક્શન રેટ વધારવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં આયોજિત કરવા બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો આભાર વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, બાળકો ઉપર થતી જાતીય સતામણી અટકે તથા આ પ્રકારના ગુનાઓ આચરતા વિકૃત નરાધમોને કડકમાં કડક સજા થાય તે બાબતમાં વિશેષ ગંભીરતા ખૂબ જ જરૂરી છે.
આ પરિસંવાદ તે દિશામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે. બાળકો ઉપર જાતીય સતામણીના ગુનાઓમાં પોલીસ ફરિયાદથી માંડીને ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા માટે ફોરેન્સિક સપોર્ટ તેમજ કોર્ટ કાર્યવાહી અને ગુનામાં સજા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સવિશેષ બારીક તકેદારી રાખવી જરૂરી છે. જેના કારણે જ ગુજરાતમાં આવા ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ચાર્જશીટ અને કડક સજા અપાવવામાં સફળતા મળી છે.
ગુજરાતમાં નાગરિકોને પોક્સો એક્ટના પાલન ઉપર વિશ્વાસ છે તેની પાછળ આ ગુનાઓમાં ગુજરાત પોલીસનું ઝડપી ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ અને જસ્ટિસ ડિલિવરી સ્પીડ કારણભૂત છે. મંત્રીએ ઉમેર્યું કે, ૬૦ દિવસોમાં ચાર્જશીટને બદલે ગુજરાતમાં ૬૦ દિવસમાં ચુકાદો આવી જાય અને આ ગુનામાં ભોગ બનનાર બાળકો તથા તેના પરિવારને ત્વરિત ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થાને કારણે ગુજરાતમાં હવે આવા ગુનેગારો પર લગામ લાગી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, બાળકો વિરૂદ્ધ થતા જાતીય અત્યાચારના ગુનાઓમાં એક સ્પષ્ટ તારણ બહાર આવે છે કે, ભોગ બનનાર બાળકનુ જાતીય શોષણ અજાણ્યા તત્વો ઉપરાંત મહદંશે પડોશી, સંબંધી-ઓળખીતાઓ કે જાણભેદુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. જે અંગે બાળકો તથા પરિવારજનોમાં જાગૃતતા લાવવા આ દિશામાં વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે.
સંઘવીએ કહ્યુ કે, ગુનેગારોમાં આ પ્રકારના ગુના આચરતા પહેલા ગુનાની ગંભીરતા સમજાય તે માટે દક્ષીણ ગુજરાતમાં અમે એક પહેલ શરૂ કરી છે. સજા પામેલા ગુનેગારોની મનોસ્થિતિ, પસ્તાવા તથા પરિવારની માનસિક સ્થિતિ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મો બનાવી નાગરિકો વચ્ચે જઇ પોલીસ તંત્ર દ્વારા તેને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેનાથી સમાજમાં જાગૃતિ આવે અને આવા ગંભીર ગુનાઓ આચરતા પહેલા ગુનેગારોમાં ડર પેદા થાય.