આટલું કહેવા છતાં હાર્દિક પટેલ તું ના સમજે તો વધુ આવતા પત્રમાં...
સોમવારે, પાટીદાર અનામત આંદોલનના નેતા કેતન પટેલ તથા ચિરાગ પટેલે, પાસ કન્વીનર હાર્દિક પટેલને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે હાર્દિક પર "સમાજના પૈસે લહેર" કરતો હોવાનો આરોપ મૂક્યો છે. સાથે જ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરાવવા માટે પણ હાર્દિક જ જવાબદાર ગણ્યો છે.
આ પત્રમાં હાર્દિક પટેલને ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે. પત્રમાં એવો આક્ષેપ કરાયો છે કે, હાર્દિક જેલમાં જઈને કરોડપતિ બની ગયો. અને હવે તે સાનમાં ના સમજ્યો તો સમાજ તેને ખુલ્લો પાડી દેશે.
પાસના કન્વિનર કેતન પટેલ અને ચિરાગ પટેલે પાસના લેટરહેડ ઉપર લખેલા આ પત્રમાં આમ આદમી પાર્ટીનું પણ લખ્યું છે. તથા હાર્દિક પટેલ પર અનેક આક્ષેપોની ઝડી વરસાવાઇ છે. ત્યારે આ પત્રમાં હાર્દિક પટેલ પર કેવા કેવા આક્ષેપો કરાયા છે અને સાથે જ કેવી રીતે આ આખા આંદોલન પાછળ આમ આદમી પાર્ટીનું નામ બહાર આવ્યું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
પાટીદાર આંદોલન કે રાજકીય સાંઠગાંઠ?
પાટીદાર આંદોલને જ્યારથી વેગ પકડ્યો છે ત્યારે આ આંદોલન રાજકીય લાભ માટે કરાયું હોવાના આક્ષેપ લાગતા રહ્યા છે. પહેલા તેવી ચર્ચા હતી કે કોંગ્રેસ દ્વારા ભાજપને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હરાવવા માટે આ ગતકડું કરવામાં આવ્યું છે. જો કે તે પછી હવે આ વાતમાં આમ આદમી પાર્ટીનું નામ પણ નીકળ્યું છે. ત્યારે લોકોના મનમાં સવાલ તે ઊભો થાય છે કે આ આંદોલન ખરેખરમાં પટેલોના અનામત માટે છે કે કોઇ રાજકીય પક્ષને લાભ મળે તે માટે કરવામાં આવ્યું છે?
આમ આદમી પાર્ટીનું નામ
નોંધનીય છે કે કેતન પટેલ અને ચિરાગ પટેલે, હાર્દિક પટેલને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે તેમાં અધિકૃત પણે લખ્યું છે કે આપની કોર કમિટીના કહેવાથી પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તો શું ખરેખરમાં પાટીદારોનું આ આંદોલન અનામત માટે નહીં પણ આપ જેવી પાર્ટીના રાજકીય લાભ માટે કરાયું હતું?
હાર્દિક પટેલ પણ આક્ષેપોની છડી
એટલું જ નહીં આ પત્રમાં હાર્દિક પટેલ પર કેતન પટેલ અને ચિરાગ પટેલે અનેક આક્ષેપો કર્યા છે. પત્રમાં હાર્દિક પર ખુલ્લો આક્ષેપ છે કે હાર્દિકના જેલમાં જવાથી તે કરોડપતિ થઇ ગયો છે. અને તે સમાજના પૈસે વૈભવી ફ્લેટ અને વૈભવી કારોમાં ફરી રહ્યો છે.
"વાહ રે હાર્દિક વાહ"
પત્રમાં હાર્દિક પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તે શહિદોને મદદ કરવાના નામે ઉગરાવવામાં આવેલા પૈસાથી વૈભવી કાર અને ફ્લેટમાં ફરી રહ્યો છે. સાથે જ હાર્દિકના વિપુલકાકાનું નામ પણ આમાં બહાર આવ્યું છે. પત્રમાં કહેવાયું છે કે આંદોલનમાં પ્રભાવિત લોકોને અમદાવાદમાં સારવાર માટે ભાડે ફ્લેટ નથી મળી રહ્યો અને તે પર કંઇ બોલવા કે કરવાના બદલે તું વૈભાવી કારમાં ફરી રહ્યો છે.
તારી શહીદી મારી શહીદી શું છે?
વધુમાં પત્રમાં કહ્યું છે કે તું સમાજના કારણે જેલવાસ ભોગવ્યાનું જે રટણ કરી રહ્યો છે. તે જ કલમ હેઠળ અને તે જ આરોપ હેઠળ અમે (કેતન અને ચિરાગ પટેલે) પણ સજા ભોગવી છે અને જેલ ગયા છીએ.
નેતા બનાવાની મહત્વકાંક્ષા
કેતન પટેલ અને ચિરાગ પટેલ હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યો છે કે હાર્દિકને નેતા બનવાની જે મહત્વકાંક્ષા છે તેના કારણે આજે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થયો છે. સાથે જ ઉમિયા ધામ જેવા આસ્થાના કેન્દ્રનું પણ નામ બદનામ થયું છે.
ઘરની વાત ઘરમાં રાખ
વઘુમાં છેલ્લી ચેતવણી આપતા કેતન અને ચિરાગ પટેલ કહ્યું છે કે હાર્દિક પટેલને શાનમાં સમજી જવાની જરૂર છે. અને જો હજું પણ હાર્દિક પટેલ નહીં સમજે તો તે આવી જ રીતે વધુ એક લેટર બોમ્બ મીડિયા સમક્ષ ખુલ્લો મૂકશે.