ગુજરાતઃ ઠાકોર અને કોળી સમાજને વીસ ટકા અનામત આપવા માંગ
ગુજરાતઃ ઠાકોર અને કોળી સમાજને વીસ ટકા અનામત આપવા માંગ
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા વિવિધ માંગણીઓના ઉકેલ માટે ગુરુવારે એક દિવસના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોળી ઠાકોર સમાજને જનસંખ્યા મુજબ પ્રતિનિધિત્વ આપવા સહિત અલગથી વીસ ટકા અનામતનો લાભ આપવા માટેની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ માટે દરેક જિલ્લામાં નિ:શુલ્ક હોસ્ટેલ અને શાળાઓની વ્યવસ્થા કરવા માટે આ કાર્યક્રમમાં માંગ કરવામાં આવી હતી.
ભારતને સ્વતંત્રતા મળ્યાના સાત સાત દાયકાઓ બાદ પણ આ સમાજ પાસે વેપાર, ધંધા નોકરીઓ કે રોજગારીના કોઈ સ્ત્રોત ન હોવાના કારણે 90% સમાજ ગુલામ અને લાચાર બની ગયો હોવાનું સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન તથા ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના અજમલજી ઠાકોરે જણાવ્યું હતું. કોળી અને ઠાકોર વિકાસ નિગમને મળતી ગ્રાન્ટમાં વધારો કરીને રૂ. ૧૫૦૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તદઉપરાંત સમાજના લોકોને જનસંખ્યા મુજબ ૨૦ ટકા પ્રતિનિધિત્વ ફાળવવા પણ રજૂઆત કરાઇ હતી. એટલું જ નહીં જાતિ આધારિત વસતિ ગણતરી કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. તો દરેક જિલ્લામાં સમાજ માટે નિશુલ્ક આદર્શ નિવાસી શાળાઓ અને હોસ્ટેલો બનાવવા માટે માંગ કરવામાં આવી હતી.
આ ધરણા કાર્યક્રમમાં ગુજરાતના કોળી અને ઠાકોર સમાજનાં લોકો બહોળી સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાયા હતા.