માસ લીડર પણ 'ખાસ' નથી લોકાયુક્ત સામે
રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. તેમજ કેગના એક અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાણાનો વ્યય કરવામાં આવ્યો હોવાનું તેમના અહેવાલમાં જણાવ્યું હતું. જેને લઇને ખાસો વિરોધ અને વિવાદ જેતે સમયે થયો હતો. જો મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સાચી હશે અને કંઇ જ ખોટું નહીં થયું હોય તો લોકાયુક્તની નિમણૂક પછી તેને જરા પર ફેર નહીં પડે, પરંતુ બીજી તરફ જો વિપક્ષો અને સરકાર વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અને આક્ષેપોમાં દમ હશે તો લોકાયુક્ત વિજયની હેટ્રિક નોંધાવનારા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર માટે પણ ભારે પડી શકે છે.
શીલા દીક્ષિત - ખુરશી પર આવી ગયું હતું સંકટ
દિલ્હીના લોકાયુક્ત મનમોહન સરીને દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને મુશ્કેલીમાં મુકી દીધા હતા. લોકાયુક્તે શીલા દીક્ષિત પર ચૂંટણી વચનો દરમિયાન રાજકીય ફાયદો ઉઠાવવાના આરોપી ગણાવ્યા હતા. લોકાયુક્તે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી જેવા મહત્વના પદ પર બેસેલી વ્યક્તિ પાસે આ રીતે ખોટું બોલવાની અપેક્ષા રાખી શકાય નહીં. નોંધનીય છે કે વર્ષ 2008માં વિધાનસભા ચૂંટણી પહેલા શીલા દીક્ષિતે છ હજાર પરિવારોને સસ્તું મકાન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાંથી એક પણ મકાન બન્યા નહોતા. આ મકાનો રાજીવ ગાંધી રત્ન આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા હતા. લોકાયુક્તે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. જો કે, આ મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમણે કોઇને ગેરમાર્ગે દોર્યા નથી અને ખોટું પણ કહ્યું નથી. ગરીબો માટે બનાવવામાં આવેલા ફ્લેટ્સ તૈયાર થઇ ગયા છે અને લોકોને જે વચન આપવામાં આવ્યા હતા તેને પૂરા કરવામાં આવશે.
યેદિયુરપ્પા- ખુરશી ગુમાવી પડી
લોકાયુક્ત જજ સંતોષ હેગડેએ કર્ણાટકમાં ચાલતી ગેરકાયદે ખાણ પ્રવૃત્તિ અંગે એક અહેવાલ રજુ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદે ખનન કરતી કંપનીઓ પાસેથી યેદિયુરપ્પા દ્વારા લાંચ લેવામાં આવી છે. ય અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે યેદિયુરપ્પાના પુત્રોએ ખાણ કંપનીઓને બજાર ભાવ કરતા ઉંચી કિંમતે જમીન વેચી હતી. લોકાયુક્તે અહેવાલ આપ્યા બાદ પગલાં કેવા અને ક્યારે લેવાશે તે અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. જો કે, ખાણની લીઝ આપવામાં સગાવાદ અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની લોકાયુક્તની ફરિયાદ બાદ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. આ વિવાદમાં રેડ્ડી બ્રધર્સનું નામ પણ ઉછળ્યું હતું. બાદમાં ભાજપ સાથે વિવાદો ઉભા થયા બાદ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને અલગ પાર્ટી ઉભી કરવાની જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશના અધિકારી પણ નહોતા રહ્યાં બાકાત
મધ્યપ્રદેશની લોકાયુક્ત પોલીસે, ભોપાલ અને સાગરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સના ત્રણ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને કરોડોની સંપત્તિ શોધી હતી. બાતમીને આધારે લોકાયુક્ત પોલીસે જૂની જેલના કમ્પાઉન્ડમાં આવેલા ઉમેશકુમાર ગાંધીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.