ઇડરમાં મહાદેવના મંદિરમાં મૂર્તિઓ ખંડિત, શહેરમાં બંધ પળાયો
ઇડર, 31 જુલાઇ : ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠાના ઇડરમાં બુધવારે હિન્દુ અને મુસ્લિમ સમુદાયે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. આ બંધ પવિત્ર ઇદના દિવસે જ ઇડરિયા ગઢ ઉપર આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરમાં આવેલી માતા પાર્વતી અને નંદીની મૂર્તિને વિસ્થાપિત કરીને તેનો ભંગ કરીને ફેંકવાની ઘટનાના વિરોધમાં પાળવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગાયકવાડ રાજાના શાસનમાં બાંધવામાં આવેલું દૂધેશ્વર મહાદેવ મંદિર ઇડરિયા ગઢ ઉપર આવેલું છે. ઇદના દિવસે બપોરના સમયે કોઇ અજાણા શખ્સે મંદિરમાં આવીને માતા પાર્વતી અને નંદીની મૂર્તિ ઉખાડી તેને ખંડિત કરીને પાસે આવેલી જગ્યામાં નથી દીધી હતી.
સ્થાનિક લોકોને આ વાતની જાણ સાંજે થઇ હતી, જ્યારે તેઓ આરતી કરવા માટે મંદિરમાં આવ્યા હતા. બુધવારે સ્થાનિક લોકોએ એક મોટી રેલી કાઢીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને આ લાગણી દુભાય તેવું અસામાજિક કૃત્ય કરનારી વ્યક્તિની ધરપકડ કરવાની માંગણી કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને ઇડર નગર ઉત્સવ સમિતી દ્વારા આ ઘટનાના વિરોધમાં બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમુદાય પણ જોડાયો હતો અને ઘટના આચરનારાને કડક સજા કરવાની માંગ કરી હતી.
મૂર્તિ ખંડિત કરનારને બે દિવસમાં પકડી પાડવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ કરવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે.