મોદીના મંત્રીમંડળમાંથી ભરૂચ સાંસદને નીકળતા થયો વિવાદ
નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં 19 નવા નેતાઓનો સમાવેશ કર્યો છે. જો કે આ સાથે જ તેમણે 5 મંત્રીઓને નીકાળ્યા પણ છે જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નામ છે. આદિવાસી રાજ્યમંત્રી તરીકે મોદીના મંત્રીમંડળમાં કામ કરતા મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા વસવસો વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં તેમણે પોતાને નીકળવા પાછળ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન અને ગુજરાતના નાણાં પ્રધાન સૌરભ પટેલનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ બન્ને નેતાઓની કાનભંભેરણીના કારણે જ મનસુખભાઇને તેમના મંત્રીમંડળમાંથી જાકારો આપ્યો છે.
એટલું જ નહીં ભાજપ અને મોદી સરકાર પર પોતાનો બળાપો નીકળતા કહ્યું કે અહીં કોઇ પણ સાચું બોલવા જાય છે તો તેનો આવો હાલ થાય છે. તેમણે કહ્યું કે મેં ગુજરાતમાં ચાલતા આદિવાસી પ્રશ્નો અંગે મેં અનેક વાર પત્ર લખ્યા છે. પણ પગલા નથી લેવાતા. સાથે જ તેમણે કહ્યું કે તેમની મંત્રીમંડળમાં કોઇ કદર જ નથી કરતું તેવું તેમને લાગે છે.