રાજ્યમાં ઘણા માર્ગો ફોરલેન કરાશે, જાણો કયા શહેરોમાં બનશે મેજર બ્રિજ?
Gujarat Government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે, તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર માર્ગને ફોર લેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના 16 જેટલા ગામોની 23 હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ આ રકમ માંથી થશે. આના પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ GIDCમાં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરથી વિજાપુરના 24 કિલોમીટરના માર્ગને હાલની 7 મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે 136.16 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી તેમણે આપી છે.
વિસનગરથી વિજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઈડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે, તેના ટ્રાફિક-ભારણને તેમ જ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.
આ સાથે મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને પણ 10 મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ GIDCના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.












Click it and Unblock the Notifications
