સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ ખેલી રહી છેઃ પરેશ ધાનાણી
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા પ્રાંતવાદનું રાજકારણ રમે છે
રાજ્યમાં ચાલી રહેલા પરપ્રાંતિય પલાયનના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને યુપી અને બિહારના લોકો ગુજરાતમાંથી પલાયન થઇ રહ્યા છે. આ મુદ્દે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતની સરહદો જોડનાર ગાંધી અને સરદારના ગૌરવવંતા ગુજરાતમાં દૂધમાં સાકર ભળે એમ સમગ્ર દેશના વિવિધ રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વિગેરેમાંથી લોકો આજે વસી રહ્યા છે. ગુજરાતના વેપાર, ઉદ્યોગ વગેરેને બળ પૂરું પાડનાર પરપ્રાંતીઓ આજે બેરોજગારીના કારણે રાજ્યમાંથી પલાયન થઈ રહ્યા છે. ત્યારે તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર રાજ્યના વિવિધ વર્ણ અને વર્ગના અસંતોષને ખાળવામાં નિષ્ફળ નીવડી છે. પરપ્રાંતીઓને રોજગાર આપવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, જેના પરિણામે સરકારના મળતિયાઓ મારફત પ્રાંતવાદનું ઝેર ઘોળીને વર્ગવિગ્રહના ષડ્યંત્રથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ગુજરાતીઓ ઉપર જીવનું જોખમ ઉભું કર્યું છે. જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતની સરહદો જોડનાર ગાંધી અને સરદારના ગૌરવવંતા ગુજરાતમાં આપણે સહુએ શાંતિ અને સંયમ જાળવવો જોઈએ.
અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો ભાજપનો પ્રયાસ
૨૨ વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારે રાજ્ય અને રાષ્ટ્રના યુવાનોની ઈચ્છાને અવગણીને મુઠ્ઠીભર માણસોના ખિસ્સા ભરવા માટે શાસનના દરવાજા સરકારી તિજોરીના દરવાજા ખુલ્લા મૂક્યા. આવી સરકારને ટકાવવા-બચાવવા માટે ચૂંટણી પહેલા, ચૂંટણી સમયે અને ચૂંટણી પછી ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતાઓએ વારંવાર સંવાદ સ્થાપી ભાજપમાં જોડવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો. કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ એવા અલ્પેશ ઠાકોરને આજ દિન સુધી ક્યાંક લાલચના દાણા ફેંક્યા, પછી એને ડરાવવામાં આવ્યા, પછી એને સત્તાના બળે ધમકાવવામાં આવ્યા, એમ છતાં જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતના સીમાડાઓને તોડનારી એક વિચારધારાના સિપાઈ તરીકે અલ્પેશ ઠાકોરે ગત અઠવાડિયે એ કોંગ્રેસમાં હતા, છે અને રહેવાના છે એવી જાહેરાત કરતાં અલ્પેશ ઠાકોર નામની દ્રાક્ષ આજે ખાટી લાગવા માંડી છે. ઠાકોર સેનામાં ભાજપના મળતિયાઓ મારફત ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળીને ચૂંટાયેલા જનપ્રતિનિધિને તોડવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. ગુજરાતની આબરૂને કલંક લગાડવાનું કામ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું હોવાનો આક્ષેપ પણ ધાનાણીએ કર્યો હતો.
ભાજપે વિપક્ષના પ્રતિનિધિઓને ડરાવવા ધમકાવવાનું કામ કર્યુ છે
ભાજપના તમામ મોરચે નિષ્ફળ નીવડેલ શાસકો આજદિન સુધી વિપક્ષના પ્રતિનિધિઓને લાલચ આપવાનો પ્રયાસ કરતા હતા, જે લોકો લલચાયા નહીં તેને ડરાવવાનો પ્રયાસ કર્યો, જે લોકો ડર્યા નહીં તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો અને ભાજપની સરકારી ધમકીઓને તાબે નહીં થનાર લોકોને જાહેર જીવનમાં વ્યક્તિગત રીતે તેનું ચારિત્ર્યહનન કરવા માટેનો સરકારના ઈશારે આ નિષ્ફળ પ્રયાસ થઈ રહ્યો છે અને આ સરકારના મળતિયાઓ ઠાકોર સેનાના નામે બેરોજગારીના કારણે પલાયન થઈ રહેલ પરપ્રાંતીઓ ઉપર હુમલા કરી ગુજરાતના એક યુવાન જનપ્રતિનિધિને લલચાવવામાં નિષ્ફળ નીવડયા, ડરાવવામાં નિષ્ફળ નીવડયા, ધમકીઓને તાબે નહીં થતા તેનું ચારિત્ર્યહનન કરવાનો ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.
પરપ્રાંતિયો પેટનો ખાડો ન પુરાતાં પલાયન થઇ રહ્યા છેઃ ધાનાણી
ભાજપ સરકારે ૮૫ ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો. કમનસીબે આજે ગુજરાતનો ભણેલો-ગણેલો યુવાન રોજગાર માટે દરદર ભટકી રહયો છે, પરસેવો પાડવો છે એને અવસર આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાતના ફુલેલા-ફાલેલા વેપાર-ઉદ્યોગ-ધંધા જીએસટી અને નોટબંધીના કારણે આજે વેન્ટીલેટર ઉપર છે. દરરોજ હજારો કારખાના, ફેકટરીઓ, ઉદ્યોગો અને વેપારી સંસ્થાનો બંધ થઈ રહયા છે અને પરિણામે આવા કારખાના-ફેકટરીઓ કે ઉદ્યોગોમાં શ્રમદાન આપનાર લાખો પરપ્રાંતીઓ પેટનો ખાડો નહીં પૂરાતા ગુજરાતમાંથી પલાયન થઈ રહયા છે. ત્યારે, સ્થાનિક યુવાનોને કાયદાની મર્યાદામાં ૮૫% રોજગારના અવસરો પ્રાપ્ત થાય એ વાતનું કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે પ્રાંતવાદનું ઝેર ઘોળી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ગુજરાતીઓના જીવનને જોખમમાં મૂકવાનું ષડયંત્ર રચી રહી છે.