2014માં લોક વિરોધી સરકરાને ઉખેડી ફેંકોઃ મોદી
ગાંધીનગર, 12 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ થકી વિજય વિશ્વાસ સ્નેહ સંમેલનને સંબોધ્યું હતું. જેમાં તેમણે 2014ની ચૂંટણીમાં કુકર્મ કરનારી અને લોક વિરોધી સરકારને સત્તા પરથી હટાવી સુરાજ્યને વિજયી બનાવવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું, સાથે જ 15મી ડિસેમ્બરે ગુજરાતમાં રન ફોર યુનિટી માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા જણાવ્યું હતું.
આ તમે મોદીએ કહ્યું કે, ગયા ત્રણ દિવસ અને આજે ચોથો દિવસ આ સ્નેહ મિલનમાં મળવાનો અવસર મળ્યો, તેથી હું પાર્ટીના તમામ આગેવાનોને અભિનંદન આપું છું કે, મારી સમયની મુશ્કેલીનો રસ્તો શોધી કાઢ્યો અને મને ગુજરાત ભરના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો મોકો આપ્યો. મારે ગુજરાત ભરના કાર્યકર્તા અને પરિવારજનોને અભિનંદન આપવા છે, કારણ કે આ પ્રકારના કાર્યક્રમમાં દોઢ લાખ કરતા વધુ કાર્યકર્તા હાજરી આપે એ નાની સુની વાત નથી.
તમે જાણો છો કે, રાજકિય પક્ષનો કાર્યક્રમ હોય એટલે સંગઠનની વાતો હોય, જનઆંદોલનની વાતો હોય, જનસંપર્કની વાતો હોય, જનચેતના જગાવવાનું આયોજન હોય અને ચૂંટણી સામે દેખાતી હોય ત્યારે આ તમામ શક્તિ પોલિંગ બુથ તરફ વાળવાની હોય જે રાજકિય પક્ષને સફળ કરવાની નિશ્ચિત જરૂરિયાત છે. રાજકિય પક્ષ માટે ચૂંટણી જીતવી ઉત્તરોતર પ્રદર્શન સુધારવું, સતત વિકાસ કરવો એ ખૂબ જરૂરી હોય છે.
આપણી પાર્ટી માત્ર ચૂંટણી લડવા અને જીતવાનું મશિન નથી. કારણ કે, આપણે સત્તા ભોગવટા માટે રાજકારણમાં આવ્યા નથી, આપણે રાષ્ટ્રકારણ માટે આવ્યા છીએ. તેથી આપણે બીજા પક્ષોની જેમ ચૂંટણી જીતવાનું મશિન બની રહે તે પાલવે નથી. તેથી કાર્યકર્તાનો ઉત્તરોતર વિકાસ અને ક્ષમતા અને સમજ વધવી જોઇએ. બીજો આપણો પ્રયાસ હોય છે, સંગઠનની શક્તિ વધવી જોઇએ. જેમ વ્યક્તિનો વિકાસ તેમ સંગઠનનો વિસ્તાર.
આજે બધાની નજર ગુજરાત ઉપર છે. જે રાષ્ટ્ર માટે કંઇક કરવા માગે છે તેમની અને જે ગુજરાતની ટીકા કરવા માગે છે તેમની પણ. હિન્દુસ્તાનના કોઇપણ ખૂણે કંઇપણ થાય તો ગુજરાતને એ ઘટના સાથે જોડીને ગુજરાતની ટીકા કરવામા આવી રહી છે અને આ એક ફેશન બની ગઇ છે. પરંતુ તેઓ પોતાના કુકર્મો અને પાપ અંગે વાત નથી કરી રહ્યાં પરંતુ ગુજરાત પર આરોપો લગાવી રહ્યાં છે. છેલ્લા 12 વર્ષમાં આપણે અગ્ની પરીક્ષામાંથી પસાર થયા છીએ.
આપણે ખોટું કરવા માગતા નથી અને કોઇને ખોટું કરવા દેવું ના જોઇએ. આપણે આપણા રાષ્ટ્રના યુવાનોનુ ભવિષ્ય અંધકારમાં જોઇ રહ્યા છીએ એને તેથી આપણી એ નૈતિક જવાબદારી છે કે, દિલ્હીમાં લોક વિરોધી સરકારને ફરીથી સત્તામાં ના આવવા દઇએ.
2014ની ચૂંટણીએ રાષ્ટ્રીય અને સામાજિક જવાબદારી છે. જે સ્પિરિટ આઝાદી મેળવતી વખતે આપણામાં હતી તે જ સ્પિરિટની જરૂર 2014ની ચૂંટણીમાં રાષ્ટ્રને કુશાસન મુક્ત કરીને સુરાજ્ય આપવામાં માટેની છે.
2014ની ચૂંટણી એ કોણ જીતશે અને કોણ હારશે એ માટે નહીં પરંતુ આપણા દેશવાસીઓની આઝાદીની આંધી છે. વિકાસની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિકાસની હરણફાળ ફરી રહ્યું છે, અમે જાણ્યું કે એકવાર પાણી મળી જશે તો વિકાસ થશે અને અમે એ દિશામાં કામ કર્યું.
આ વિકાસના મંત્રને હિન્દુસ્તાના ખુણે ખુણે વધારવો છો. આ દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે રાજા રજવાડાઓને એક કરીને હિન્દુસ્તાનને એક કર્યું છે. સરદારનું કેટલુ બધુ ઋણ છે, એ મહાપુરુષને ભુલાવી દેવામાં આવ્યા. ઇતિહાસમાંથી તેમને નષ્ટ કરવાના પ્રયત્નો થયા. આપણે બીડુ ઉપાડ્યું છે કે, સરદાર પટેલ અંગે આવનારી પેઢી જાણે અને શીખે તે કામ કરવાનું છે. તેથી આપણે એકતાનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. અને એ માટેનું કામ આગામી દિવસોમાં શરૂ કરવાનું છે, શહેરોમાં સરદાર પટેલના કામોની વકતૃત્વ સ્પર્ધા અને નિબંધોની સ્પર્ધા થાય તે આપણે કરવું જોઇએ, ચારે તરફ સરદાર સરદાર એકતા એકતા થાય તે કરવાનું છે. ફરી એક વાર ઇતિહાસને પુનર્જીવીત કરવો છે.
સૌરાષ્ટમાં સરદાર પટેલનુ નામ ગુંજી ઉઠે એ કામ આપણે કરવું છે. સરદાર પટેલ પર વ્યાખ્યાન આપે એવા લોકો તૈયાર કરવામાં આવે અને શાળાઓમાં સરદાર પટેલ અંગે વિદ્યાર્થીઓને જણાવીએ. વાતાવરણ બનાવવાનું છે. 15મી ડિસેમ્બરે રન ફોર યુનિટી એકતા માટેની દોડનો કાર્યક્રમ આખા હિન્દુસ્તાનમાં કરવો છે. સૌરાષ્ટ્રની અંદર સેંકડો રજવાડા હતા, જે વિલિન થયા, તેમને યાદ કરવામાં આવે અને તેમનું સન્માન થવું જોઇએ. રન ફોર યુનિટીનું બીડું ઉપાડો. આ કાર્યમાં કોંગ્રેસ અને અન્ય સંગઠનોને જોડીએ. એક મોટું એકતાનું વાતાવરણ બનાવવું છે અને તેની તૈયારીમાં લાગી જઇએ.