ગુજરાત 20મી ડિસેમ્બરે ઉજવશે દિવાળી: મોદી
ગામડે ગામડે પ્રચાર માટે જનારા યુવાનોની સભાને સંબોધિત કરતીવેળા મોદીએ યુવાનોને ભાજપની રણનીતિ અંગે વાકેફ કર્યા હતા, તેમજ ગામડામાં જનતા સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો તે અંગે પણ સૂચક માહિતી આપી હતી. તેમણે કાર્યક્ર્તાઓને કહ્યું હતું કે અમારી સરકારે આ કામ કર્યા, અમારી સરકારે આવું કર્યું, એ પ્રકારની વાતો ગામડામાં જાઓ ત્યારે લોકો સમક્ષ કરતા નહીં. કારણ કે, એ તો આપણું કામ છે અને આપણી ફરજ છે. લોકોને એમ કહેજો કે, અમે આ દસ વર્ષોમાં તમારી પાસેથી ઘણું શિખ્યા છીએ અને આગામી વર્ષોમાં ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે ઝડપથી કામ કરવા તમારા આશિર્વાદની જરૂર છે.
દિવાળીના સમયે જ ચૂંટણી આવતી હોવાથી મોદીએ યુવાન કાર્યકરોને કહ્યું કે, ચૂંટણી દિવાળીના સમયે આવી છે અને તમારે પક્ષના કામ માટે ગામડામાં જવાનું છે. જ્યારે તમે ગામડામાં જાઓ ત્યારે કોઇ તમને પૂછે કે , દિવાળીના સમયે આમ ગામડામાં આવ્યો છે, તારે દિવાળી નથી મનાવવી, ત્યારે તેમને જવાબ આપજો કે, અમે તો 20મી ડિસેમ્બરે દિવાળી મનાવવાના છીએ, ગુજરાતમાં 20મી ડિસેમ્બરે દિવાળી ઉજવાશે, શાનથી ઉજવાશે અને શાનથી અમે દિવાળી મનાવીશું. ગુજરાતની દિવાળી ઐતિહાસિક રહેશે. સાચી દિવાળી તો ગુજરાતમાં 20મી ડિસેમ્બરે મનાવવામાં આવશે.