નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી

મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાત માટે વિવિધ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે પાટણ જિલ્લાને વિકાસના કામ માટે 2000 કરોડ રૂપિયાનું પેકેજ મળશે. તે પૈકી 275 કરોડ રૂપિયાના કામ ચાલુ થઇ ગયા છે. હું આપ્યા પછી પેકેજ ચાલુ કરું છું. પાટણના બે ભાગ કરી નવો સરસ્વતી તાલુકો બનાવાશે. સમી તાલુકામાંથી શંખેશ્વર તાલુકો અલગ બનાવાશે. બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાંથી અલગ સૂઇ ગામ તાલુકો બનાવાશે. નવા તાલુકા 26 જાન્યુઆરી, 2013 સુધીમાં કાર્યરત બનશે.
ઉત્તર ગુજરાતના યુવકો માટે કૃષિ ક્ષેત્રના ક્રાંતિ સામે આવીને ઉભી છે. કૃષિ ઉદ્યોગ, પશુ ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ માટેનું પાયાની કામગીરી થઇ ચૂકી છે. આ વર્ષે સરકારમાં નવા એક લાખ લોકોની ભરતી કરાશે.
મુખ્યમંત્રીએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર ચાલુ રાખતા જણાવ્યું કે મારે રડવું કે હસવું મને ખબર નથી પડતી. કોંગ્રેસ સરકાર બે લાખ કરોડનો કોલસા ચોરી ગઇ છે. વળી વડાપ્રધાન મનમોહન સિંહ અને આખી દિલ્હી કયા ઝાડમાંથી પૈસા મળે તે શોધી રહ્યા છે. કેન્દ્ર સરકારે સબસિડીનો ભાર ઘટાડવા બાટલા ઓછા કરી દીધા. અમે ભારણ ઘટાડવા 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી 2200 કિલોમીટર લાંબી ગેસની પાઇપ લાઇન લગાવી છે. જેનાથી 300 ગામોમાં મુખ્ય પાઇપ લાઇનમાંથી પેટા લાઇન દ્વારા ગેસ આપ્યો. ગામડાંઓમાં પાઇપ લાઇનથી ગેસ આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય. દિલ્હીમાં ગુજરાત અળખામણું રાજ્ય છે. આખી સીબીઆઇ પાછળ લગાવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે સવારે ધારપુરમાં મેડિકલ કોલેજનું ઉદઘાટન કરવાનો અવસર મળ્યો. સરસ્વતીનું ધામ હોવાથી ધારપુર મેડિકલ કોલેજ શ્રી સરસ્વતી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.અત્યાર સુધી મેડિકલ કોલેજની બાબતમાં ઉત્તર ગુજરાત કોરું ધાકડ હતું. અગાઉના શાસકોએ શું કર્યું તેનું આ ઉદાહરણ છે. છેલ્લા 50 વર્ષમાં માતા પિતાઓએ બાળકોને રાજ્ય ભણાવવા માટે જેટલા પૈસા ખર્ચ્યા છે તેમાંથી મેડિકલ કોલેજ બની શકી હોત.
મોદીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદે 1897માં એક માત્ર દેવી ભારત માતાની પૂજા કરવાનું જણાવ્યું હતું. તેમણે એક આગાહી કરી હતી કે મારી ભારત માતા વિશ્વ ગુરુ તરીકે બિરાજમાન થશે. પણ આઝાદીના આટલા વર્ષો પછી એ દિશામાં કોઇ સંકેત મળ્યા નથી. અત્યાર સુધી ભલે ના થયું પણ મને સ્વામી વિવેકાનંદમાં શ્રધ્ધા છે અને આગામી સમયમાં તેમનું સપનું સાકાર થઇ શકે છે. આ માટે લાખો યુવાનોની જરૂર છે.
આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ ધારપુર મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે નવી મેડિકલ કોલેજ બને તે દિશામાં ઝડપથી પગલાં ભરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પર્યટનપ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે આગામી દાયકામાં સૌથી વધારે નોકરીઓ પ્રવાસન ક્ષેત્રમાં ઉભી થવાની છે. ગુજરાત આ દિશાને પકડીને તેમાં વિકાસ કરી રહ્યું છે. પર્યટન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાતમાં પણ વિવિધ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
