મોદી પહોંચ્યા ભાજપ કાર્યાલય : મતદાનના ટ્રેન્ડની સમીક્ષા કરશે
આજે સવારથી જ મતદારોમાં મતદાન અંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનના પ્રારંભિક સમયમાં સવારે 8 વાગે લોકોની લાંબી કતારો લાગી હતી. આ કારણે એવી ધારણા બાંધવામાં આવી રહી છે કે બીજા તબક્કાનાના મતદાનની ટકાવારી પ્રથમ તબક્કાના સરેરાશ મતદાનની ટકાવારી કરતા ઊંચી જશે.
આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાણિપ ખાતે મતદાન કરીને અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા છે. તેઓ તમામ બેઠકો પર મતદાનની ટકાવારી ઉપરાંત ભાજપના કાર્યકરોએ કરેલા બૂથ મેનેજમેન્ટની સમીક્ષા કરશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મતદાનની ટકાવારીનું વલણ પારખી નરેન્દ્ર મોદી આગામી 20 ડિસેમ્બર, 2012ના રોજ થનારી મતગણતરીના દિવસે કરવાની જાહેરાત અંગે પણ વિચારણા કરી શકે છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં વધારે મતદાન થાય તો સ્થિતિ ભાજપની તરફેણમાં રહે છે. આથી આ વખતે પણ મોજું ભાજપના પક્ષમાં રહેવાનું છે.
જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વર્તમાન સ્થિતિને જોતા વધુ મતદાન ભાજપ તરફી ના પણ હોઇ શકે. આ વખતે અન્ય અન્ડરકરન્ટને કારણે પરિણામ આશ્ચર્યજનક પણ આવી શકે છે. આ કારણે કોઇ ચોક્કસ ટ્રેન્ડ સ્પષ્ટ કરવો અઘરો છે.