મોદીનું બોલવું : કાત્જુને લાગે છે બકબક, સિબ્બલને લાગે છે મૌન
નવી દિલ્હી, 27 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એક એક વાતને પકડીને રાજકીય આક્ષેપબાજી ચાલુ છે. જો કે આ વખતે બે અલગ અલગ દિશામાંથી અલગ અલગ હુમલા થયા છે. કેન્દ્રીય સંચાર મંત્રી કપિલ સિબ્બલ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુ બંનેએ મોદી પર નિશાન સાધ્યું છે.
બન્યું છે એમ કે એકનું કહેવું છે કે મોદી બહુ બોલ બોલ કરે છે અને બીજાનું કહેવું છે કે મોદી બોલતા નથી. આ કારણે એવી સ્થિતિ ઉભી થઇ છે કે નરેન્દ્ર મોદી બોલે તો પણ બબાલ ઉભી થાય છે અને નથી બોલતા તો પણ તકલીફ ઉભી થાય છે. જો કે આ કારણે ઇચ્છા અને અનિચ્છાએ નરેન્દ્ર મોદી ચર્ચાના કેન્દ્રમાં છે.
હંમેશા નરેન્દ્ર મોદીના નિવેદનો પર હોબાળો મચાવનાર કોંગ્રેસ આજ કાલ એ મુદ્દે નારાજ છે કે નરેન્દ્ર મોદી આજકાલ બોલતા જ નથી. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલ શુક્રવારે હતા તો કોલકત્તામાં પણ તેમનું બધું જ ધ્યાન નરેન્દ્ર મોદી પર હતું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી કોઇ મુદ્દે કશું જ બોલતા નથી. મોદી શિક્ષણના રિફોર્મ અંગે કોઇ વાત કરતા નથી અને ગેસની કિંમતો અંગે કશું બોલતા નથી.
બીજી તરફ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જણાવ્યું કે કોઇ વ્યક્તિ પોતાને કેવી રીતે હિન્દુ રાષ્ટ્રવાદી ગણાવી શકે. આ બાબત રાષ્ટ્ર વિરોધી છે. દેશમાં કોઇ હિન્દુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ નથી. જે વ્યક્તિ આવું બોલે છે દેશે તેની સાથે લડવું જોઇએ.