નવસારીમાં રામનવમીની ઉજવણી સાથે મોરારીબાપુની રામકથાને વિરામ અપાયો
ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે જ નવસારીના લૂન્સીકૂઇ મેદાનમાં મોરારીબાપુની રામકથાનો પણ પ્રારંભ થયો હતો. રામકથાએ દક્ષિણ ગુજરાતના હજારો ભક્તોને તરબોળ કર્યા હતા. આજે રામનવમીએ રામજન્મની ઉજવણી સાથે રામકથાને વિરામ અપાયો હતો.
કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ટ્રસ્ટ પરિવાર દ્રારા આયોજીત રામકથાના આજે અંતિમ દિવસે હજારો ભક્તોની હાજરીમાં મંડપની લાઇટો બંધ કરી મોબાઇલના દીવડાઓ સળગાવતા સમગ્ર કથામંડપ ઝળહળી ઉઠ્યો હતો. રામકથાની સાથે સાથે મોરારીબાપુએ કોરોનામાં સાવચેતી રાખવા સહિતના સામાજિક મુદ્દાઓ પણ ટાંકીને લોકોને જાગૃત કરવાનું કામ પણ કર્યું હતું.

બાપુએ કથા વિરામ આપવા સાથે સાથે ઐતિહાસિક દાંડીને પણ યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પાવન પગલાં પડવાથી દાંડી તીર્થ સ્થળ બન્યુ છે. આજે માત્ર રામનવમી નથી, પરંતુ માનસનવમી પણ છે. રામકથા પણ દેવી છે. પ્રાચીન જમાનામાં કૌશલ્યા રામના માતા હતા અને આજે નવસારીમાં કૌશલ્યા પરભુમલ લાલવાણી પ્રેમ, શંકર અને જયકુમારની માતા છે. તેમણે રામકથામાં સહભાગી થનારા તમામને વ્યાસપીઠ પરથી આર્શીવાદ આપ્યા હતા.
રામનવમીએ કથાના છેલ્લા દિવસે રાજયના ગૃહમંત્રી હર્ષ સંધવીએ રાજ્યમાંથી ડ્રગ્સ, વ્યાજખોરીને નાબુદ કરવા વચન આપ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રામે બતાવેલી દિશામા રાજ્યસરકાર કામગીરી કરી રહી છે. કથાના અંતે બાપુએ તેમના હસ્તે આયોજક પ્રેમચંદ લાલવાણીના માથે પોથી મૂકી હતી.












Click it and Unblock the Notifications
